સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત આગ્રા સાથે ત્રીજા ક્રમે આવ્યું : ગત વર્ષે પહેલા ક્રમે રહ્યું હતું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat: ભારત સરકારના કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય આયોજિત સ્વચ્છ વાયુ સર્વેક્ષણ માટે આજે દિલ્હી ખાતે એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સર્વેક્ષણમાં સુરત સતત બીજા વર્ષે ટોપ થ્રીમાં આવ્યું છે. જોકે, ગત વર્ષે સુરતે આ સ્પર્ધામાં દેશમાં પહેલું સ્થાન મેળવ્યું હતું. આ વર્ષે સુરતનો રેન્ક બે નંબર પાછળ ગયો છે અને તે આગ્રા સાથે ત્રીજા નંબર પર આવ્યું છે.
સુરત પાલિકાના ઈ-વ્હીકલને પ્રોત્સાહન આપવા તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ માટે સારી કામગીરી છતાં પણ સુરત શહેરની હવાની ગુણવત્તામાં ગત વર્ષની સરખામણીમાં ઘટાડો થયો હોવાનું સ્વચ્છ વાયુ સર્વેક્ષણના પરિણામ બાદ સાબિત થઈ ગયું છે.

સુરતમાં વર્ષ 2023–24 માં PM10 ના રજકણોમાં 12.71 % નો નોંધપાત્ર ઘટાડો થયો હતો. વર્ષ 2023માં યોજાયેલા ‘સ્વચ્છ વાયુ સુર્વેક્ષણ’માં ઈન્દોરને પહેલું જ્યારે સુરત શહેરને 13મું સ્થાન મળ્યું હતું. જોકે, ત્યાર બાદ પાલિકાએ આ ક્ષેત્રમાં અનેક સુધારા કર્યા હતા અને આ કામગીરી માટે આઈકોનિક પ્રોજેક્ટનો સમાવેશ કર્યો હતો. જેના કારણે ગત વર્ષે આ સ્પર્ધા માટે નિર્ધારિત 200 ગુણમાંથી સુરત શહેરે 194 ગુણ પ્રાપ્ત કરી પહેલો ક્રમ મેળવ્યો છે. જોકે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વાયુ સર્વેક્ષણમાં સુરતની કામગીરી નબળી જોવા મળી છે તેનું પરિણામ એવોર્ડમાં જોવા મળી રહ્યું છે.
ભારત સરકારના પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય દ્વારા આજે દિલ્હીના ગંગા ઓડિટોરિયમ, ઇન્દિરા પર્યાવરણ ભવન, નવી દિલ્હી ખાતે એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે આ સમારોહમાં કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવના હસ્તે મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલ અને મેયર દક્ષેશ માવાણીએ એવોર્ડ સ્વીકાર્યો હતો.
આ સ્પર્ધામાં દેશના 130 શહેરોએ ભાગ લીધો હતો. જેમાં સુરત ગુજરાતમાં એકમાત્ર શહેર જાહેર થયું હતું. આજે પરિણામ જાહેર થયા તેમાં સમગ્ર ભારતમાં સુરતે ત્રીજો ક્રમ મેળવ્યો છે. આ એવોર્ડ સાથે એવી પણ ચર્ચા થઈ રહી છે કે એક વર્ષમાં એવું તો શું થયું કે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં બે ક્રમ પાછળ ધકેલાઈ ગયું ? જોકે, છેલ્લા બે વર્ષની વાત કરવામા આવે તો નેશનલ લેવલનો આ 10મો એવોર્ડ છે.









