સુરત પાટીદાર શિક્ષિકા આપઘાત કેસમાં મોટો ખુલાસો, FSL રિપોર્ટ બાદ કેસમાં આવ્યો નવો વળાંક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Patidar Teacher Case: સુરતના કતારગામમાં પાટીદાર શિક્ષિકાના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ના 3000 પાનાના રિપોર્ટ અને મોબાઈલ ફોનની ચેટ્સના આધારે જાણવા મળ્યું છે કે મૃતક શિક્ષિકા અને એક કિશોર વચ્ચે શારીરિક સંબંધો હતા અને ગર્ભપાત પણ કરાવવામાં આવ્યો હતો. આ કેસમાં હવે બળાત્કાર અને ગર્ભપાત કરાવવાની કલમો ઉમેરવાની માગણી કરવામાં આવી છે.
મૂળ ફરિયાદ પક્ષના વકીલે ગુરુવારે કોર્ટમાં એક એફિડેવિટ રજૂ કરીને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષિકાનો મોબાઇલ ફોન તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યો હતો. FSLના રિપોર્ટમાં જી-મેઇલ મારફત થયેલી વાતચીતની ચેટ્સ સામે આવી છે. આ ચેટ્સમાં મૃતક શિક્ષિકા અને કિશોર વચ્ચેના શારીરિક સંબંધો, ગર્ભધારણ અને ગર્ભપાત કરાવવા અંગેની વિગતો હતી.
રિપોર્ટ મુજબ, મૃતક શિક્ષિકા અને સગીરે અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેના કારણે શિક્ષિકા ગર્ભવતી બની હતી. ત્યારબાદ ગર્ભપાત પણ કરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, મૃતક શિક્ષિકાને નશીલો પદાર્થ પણ આપવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.
આ નવા ખુલાસા બાદ મૂળ ફરિયાદીના વકીલે કોર્ટમાં કિશોર સામે બળાત્કાર અને ગર્ભપાત કરાવવાની કલમો ઉમેરવા માટે અરજી કરી છે. આ કેસની આગામી સુનાવણી 1 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. આ નવા તથ્યો બાદ કેસમાં નવો વળાંક આવ્યો છે અને આરોપી સામે કડક કાર્યવાહીની શક્યતાઓ વધી ગઈ છે.
શું હતો સમગ્ર મામલો?
સુરતના કતારગામમાં ટ્યૂશનમાં ભણાવતી 19 વર્ષીય શિક્ષિકાએ વિકૃત યુવક દ્વારા કરવામાં બ્લેકમેલિંગથી કંટાળીને જીવન ટૂંકાવી દીધું છે. શિક્ષિકાના આપઘાતની માહિતી મળતાની સાથે જ સિંગણપોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આ મામલે તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે, એક વિકૃત યુવક આ પાટીદાર યુવતીને પરેશાન કરતો હતો અને કોઇક કારણોસર બ્લેકમેલ કરી માનસિક ત્રાસ આપતો હતો. આ બ્લેકમેલિંગથી કંટાળીને શિક્ષિકાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું. જોકે, હજુ સુધી એ સામે નથી આવ્યું કે, આ યુવક કોણ છે અને તેને કઈ બાબતે બ્લેકમેલ કરતો હતો.
આ મુદ્દે સામાજિક અગ્રણી વિજય માંગુકિયા દ્વારા આ આપઘાતના બનાવને લઈને મુખ્યમંત્રીને યોગ્ય કાર્યવાહી માટે પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્ર સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો અને શિક્ષિકાને વિકૃત યુવક દ્વારા વારંવાર માનસિક ત્રાસ આપતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો.








