Gujarat

પાટીદાર સમાજમાં નવા 'સામાજિક બંધારણ' માટે કવાયત તેજ! રીત-રિવાજોમાં ફેરફાર તથા પ્રેમ-લગ્નના નિયમ બનાવવા ચર્ચા

By GS TEAM
15 Jan 20262 mins read
TukuTouch Logo
સુરતમાં વસતા પાટીદાર સમાજે હવે સામાજિક કુરિવાજોને ડામવા માટે આધુનિક સમય મુજબ નવું બંધારણ લાગુ કરવામાં આવે તેવી ચર્ચાઓ થઈ રહી છે, હાલમાં શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજની વાડીમાં ભૂમિ પૂજનનો પ્રસંગ યોજાયો, જેમાં પાટીદાર અગ્રણીઓએ નવા બંધારણની વાતને ખુલ્લે ટેકો જાહેર કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાટીદાર સમાજમાં નવા 'સામાજિક બંધારણ' માટે કવાયત તેજ! રીત-રિવાજોમાં ફેરફાર તથા પ્રેમ-લગ્નના નિયમ બનાવવા ચર્ચા

Surat News: સુરતમાં વસતા પાટીદાર સમાજે હવે સામાજિક કુરિવાજોને ડામવા માટે આધુનિક સમય મુજબ નવું બંધારણ લાગુ કરવામાં આવે તેવી ચર્ચાઓ થઈ રહી છે, હાલમાં શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજની વાડીમાં ભૂમિ પૂજનનો પ્રસંગ યોજાયો, જેમાં પાટીદાર અગ્રણીઓએ નવા બંધારણની વાતને ખુલ્લે ટેકો જાહેર કર્યો છે. 

પ્રેમ લગ્નમાં માતા-પિતાની સંમતિ હોય

બીજી તરફ પ્રેમ લગ્નમાં માતા-પિતાની સંમતિ હોવી જ જોઈએ તે અંગે પણ હામ ભરી છે.  પાટીદાર આગેવાનો સામુહિક રીતે જણાવ્યું કે, દીકરા-દીકરીઓ નાની ઉંમરમાં ખોટા પગલાં ભરી લેતા હોય છે, તેમની અને પરિવારની જિંદગી ન બગડે તે માટે કાયદો ઘડવાની જરૂર છે, જે દરેક સમાજ માટે ઉપયોગી બનશે.

ખોટા ખર્ચ બંધ કરવા જોઈએ

શ્રી ઉમિયા ધામ માતાજી મંદિર ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ અને પીઢ પાટીદાર અગ્રણી જેરામભાઈ વાંસજાળીયાએ કહ્યું છે કે પાટીદાર સમાજ આર્થિક અને શૈક્ષણિક રીતે પ્રગતિ કરી રહ્યો છે પણ તેને જાળવી રાખવા માટે સામાજિક બંધારણની જરૂર ઊભી થઈ છે. લગ્નમાં થતાં ખર્ચાનો ઉલ્લેખ કરી ટકોર કરી કે હાલમાં ખોટા ખર્ચા થઈ રહ્યા છે જે અટકવા જોઈએ. રીત-રિવાજોમાં બાંધછોડ કરી સમાજ એક નિયમના તાંતણે બંધાય તે માટે લેખિત સ્વરૂપમાં બંધારણ હોવું જોઈએ. 

બંધારણ ઘડાશે, અમલ પણ કડક રીતે થશે

આ સાથે હાજર પાટીદાર સમાજના તમામ આગેવાનોએ એક સૂરે કહ્યું હતું કે સમાજના અલગ-અલગ વર્ગોના મંતવ્યો લેવાઈ રહ્યા છે, જો તમામ લોકો સહમતી આપશે તો બંધારણ ઘડવામાં આવશે અને તેનો અમલ પણ કડક રીતે કરવામાં આવશે.

આ પણ વાંચો: માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી: GSSSBની જાહેરાત, જાણો ફોર્મ ભરવાની તારીખ

દીકરા-દીકરીઓમાં સંસ્કારોનું સિંચન

કડવા પાટીદાર સેવા સમાજની વાડીમાં ભૂમિ પૂજનમાં અંગે પાટીદાર અગ્રણીએ જણાવ્યું કે હાલમાં સુરતમાં 11 હજારની આસપાસ પરિવારો સૌરાષ્ટ્રમાંથી આવીને અહીં રહે છે. જેથી આવનાર સમયની માંગને જોતાં એક ભવ્ય સમાજ ભવનની જરૂર હતી જેથી આ સમાજ ભવન ઊભું કરવામાં આવી રહ્યું છે.  જે થકી સમાજનું સંગઠન અને વ્યવસ્થાઓ વધુ મજબૂત થશે. દીકરા-દીકરીઓમાં સંસ્કારોનું સિંચન થાય, ખોટા ખર્ચાથી સમાજ બચે તેમજ સમાજમાં કોઈ ખટરાગ ન બેસે તે માટે સામાજિક બંધારણ પણ ખૂબ જરૂરી છે.