સુરતના ન્યુરોસર્જને 5 વર્ષની બાળકીના મગજની બાયપાસ સર્જરી કરી નવજીવન આપ્યું
Surat News : કચ્છમાં રહેતી 5 વર્ષની બાળકીને 2 વર્ષની ઉંમરથી શરીરના જમણા ભાગના અંગો કમજોર થવા લાગ્યા હતા. આ સાથે બાળકીને બોલવામાં, દ્રષ્ટીમાં ખામીઓ ઊભી થઈ હતી. આ પછી સુરતમાં રહેતા બાળકીના મામાએ ખાનગી હોસ્પિટલના ન્યુરોસર્જન પાસે તપાસ કરાવવા જણાવ્યું હતું. જેમાં બાળકીના માતા-પિતાએ સુરતના ન્યુરોસર્જન પાસે તપાસ કરાવતાં બાળકીને મગજની મોયા મોયા નામની બીમારી હોવાનું જણાય આવ્યું હતું. અંતે ડૉક્ટરે 8 કલાકની મગજની બાયપાસ સર્જરી કરીને બાળકીને નવજીવન આપ્યું હતું.
કચ્છની 5 વર્ષની શિવાંશી નામની બાળકીને 2 વર્ષની ઉંમરથી જમણા ભાગના અંગો કમજોર થવા સહિત બોલવાનું બંધ થઈ જવું, દેખાવાનું બંધ થવું, ખાતી-પીતી વખતે પાણી અને ખાવાનું મોઢામાંથી પડી જવું તેવી બીમારી હતી. સુરતની ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવતાં ન્યુરોસર્જને શિવાંશીને મગજની મોયા મોયા નામની બીમારી હોવાનું જણાવ્યું હતું.
8 કલાક ચાલી મગજની સર્જરી
આ પછી તબીબો સહિતની ટીમ દ્વારા હૃદયમાં જે રીતે બાયપાસ કરવામાં આવે છે. તેવી જ રીતે મગજમાં બાયપાસ કરવામાં આવ્યું હતું. જેમાં સર્જરી સમયે નરી આંખેના ના જોઈ શકાય એટલી પાતળી રક્તવાહિનીઓને જોડવામાં આવે છે અને જેના માટે વાળ કરતા પણ પાતળો દોરો વાપરવામાં આવતો હોય છે. સાથે ઓપેરશન દરમિયાન મગજનો ભાગ લોહી મળ્યા વગર કામ કરતો બંધ ના થાય એ ધ્યાન રાખવામાં આવે છે. જો આ ઓપેરશન સફળ ના થાય તો બ્રેઈન સ્ટ્રોક અને બ્રેઈન હેમરેજ થવાની સંભાવના રહે છે. જ્યારે ડૉક્ટરની ટીમ મળીને 8 કલાકની સર્જરી સફળ કરીને બાળકીને નવજીવન આપ્યું હતું.
આ પણ વાંચો: દ. ગુજરાતમાં ખોરવાયેલો વીજ પુરવઠો 90 ટકા પૂર્વવત થયો, ટૂંક સમયમાં 100 ટકા થઈ જશે: DGVCL
મગજની મોયા મોયા નામની બીમારી શું છે?
મગજને લોહી પૂરું પાડતી નળી ધીમે ધીમે સાંકડી થવાને લીધે મગજને પૂરતું લોહી નહી મળતા મોયા મોયા બીમારી થાય છે. જેમાં બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. આ બીમારીના કારણે હાથ પગમાં પેરાલીસીસ, આંખની દ્રષ્ટિમાં સમસ્યા અને બોલવામાં ખામી જેવી સમસ્યાઓ વધવા લાગે છે. આ માટે બાયપાસ એ જટિલ પરંતુ શ્રેષ્ઠ સારવાર ગણાય છે. સારવારમાં તબીબોએ માથાની ચામડીમાંથી રક્તવાહિની છૂટી પાડીને તેને મગજની રક્તવાહિની સાથે જોડવામાં આવે છે.