સુરતની મિલેનિયમ માર્કેટમાં ભીષણ આગ: ધુમાડાના ગોટેગોટાથી રિંગ રોડ પર અફરાતફરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News : ટેક્સટાઈલ સિટી સુરત ફરી એકવાર આગની લપેટમાં આવ્યું છે. આજે બપોરે શહેરના વ્યસ્ત ગણાતા રિંગ રોડ વિસ્તારમાં કમેલા દરવાજા પાસે આવેલી પ્રખ્યાત મિલેનિયમ માર્કેટ-1 માં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે, જોતજોતામાં ધુમાડાના કાળા ગોટા આકાશમાં છવાઈ ગયા હતા અને આખું માર્કેટ ધુમાડાથી ભરાઈ ગયું હતું.
દુકાન નંબર 69-71 થી શરૂ થઈ તબાહી
પ્રાપ્ત માહિતી અનુસાર, માર્કેટના પહેલા માળે આવેલી વૈષ્ણવી ક્રિએશન નામની એક દુકાનમાં અચાનક આગ લાગી હતી. કાપડનો જથ્થો હોવાને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને જોતજોતામાં આસપાસની 3 દુકાનોમાં આ આગ ફેલાઇ ગઇ હતી. વેપારીઓ અને શ્રમિકો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા, જ્યારે કેટલાક વેપારીઓ જીવના જોખમે પોતાનો કિંમતી માલ બચાવતા જોવા મળ્યા હતા.
બ્રિગેડ કોલ જાહેર ટ્રાફિક વચ્ચે પોલીસનો ગ્રીન કોરિડોર
આગની ગંભીરતાને જોતા ફાયર વિભાગે તાત્કાલિક બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. સાત અલગ-અલગ ફાયર સ્ટેશનની 14 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ હતી. રિંગ રોડ પર ટ્રાફિકની ગંભીર સમસ્યા હોવાથી, ફાયરની ગાડીઓ સમયસર પહોંચી શકે તે માટે પોલીસે ખાસ ગ્રીન કોરિડોર આપ્યો હતો.
આ પણ વાંચો : તોઈબાના આતંકી હાફિઝ સઈદના 'રાઈટ હેન્ડ'ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
ચીફ ફાયર ઓફિસરનું નિવેદન
ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું કે, બપોરે 12:48 વાગ્યે કોલ મળતા જ ટીમ રવાના કરાઈ હતી. માર્કેટમાં ધુમાડો વધુ હોવાથી કામગીરીમાં મુશ્કેલી પડી હતી, પરંતુ હવે આગ સંપૂર્ણપણે કાબૂમાં છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આર્થિક નુકસાનની ભીતિ
પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, આ દુર્ઘટનામાં લાખો રૂપિયાનું કાપડ બળીને ખાખ થઈ ગયું હોવાથી વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.









