ખાડીપૂરના કારણે સુરતની 'સૂરત' બગડી: અનેક વિસ્તારો બેટમાં ફેરવાતા લોકોને રેસ્ક્યૂ કરવા પડ્યા
Surat Heavy Rain: ગુજરાતમાં છેલ્લાં બે અઠવાડિયાથી મેઘમહેર જોવા મળી રહી છે. જોકે, મેઘરાજા દક્ષિણ ગુજરાત માટે આફત બની રહ્યા છે. સુરતમાં છેલ્લાં દોઢ દિવસમાં 16 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી હતી. જોકે, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ વિશે જણાવ્યું કે, ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારમાં જો સમસ્યા વકરી તો સ્થળાંતરની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.
હર્ષ સંઘવીએ શું કહ્યું?
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ વિશે વાત કરતા જણાવ્યું કે, 'વહેલી સવારથી જ વરસેલા વરસાદના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હોવાની સમસ્યા સામે આવી છે. જોકે, મોટાભાગની જગ્યાઓએથી મોટર અને અન્ય કામગીરી દ્વારા પાણી કાઢી દેવામાં આવ્યા છે. જોકે, હજુ પણ આ કામગીરી શરૂ છે અને મહાનગર પાલિકાની ટીમ આ વિશે સ્થળ પર છે અને કાર્યવાહી કરી રહી છે. હું અને મુખ્યમંત્રી સતત કામગીરીની પ્રક્રિયા કરનારા લોકો સાથે સંપર્કમાં છીએ. નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં સ્થળાંતરની જરૂર જણાશે તો તેની કાર્યવાહી પણ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવશે.'
આ પણ વાંચોઃ ગુજરાતમાં અનરાધાર: મોડાસામાં 3 કલાકમાં 4 ઈંચ વરસાદ, વાહનો તણાયા, જનજીવન અસ્તવ્યસ્ત
ઘરોમાં પાણી ઘુસી ગયા, ફાયર વિભાગે હાથ ધરી રેસ્ક્યુ કામગીરી
બારોડોલીની પરિસ્થિતિ કફોડી બની છે. અહીં તમામ સોસાયટીમાં ભારે પાણી ભરાઈ ગયા છે. બારડોલીની ફાયર ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી છે. અત્યાર સુધીમાં કુલ 17 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. હાલ, બારડોલીમાં શિવશક્તિ રેસિડેન્સીમાં 100થી 200 ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. આ સિવાય રાજીવનગર, ડીએમ પાર્ક જેવા વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં લોકો પાણીના કારણે પોતાની ઘરવખરી અને જીવ બચાવવા માટે વલખાં મારી રહ્યા છે.
આ પણ વાંચોઃ દ્વારકાના દરિયામાં જોવા મળ્યો ભારે કરંટ, ગોમતી ઘાટ પર ઉછળ્યા ઊંચા-ઊંચા મોજાં
પોલીસ સ્ટેશનમાં ઘુસી ગયા પાણી
જોકે, સુરતમાં લોકોને બચાવવા ખડેપગે ઉભેલી પોલીસની હાલત પણ કંઈક આવી જ જોવા મળી રહી છે સુરતમાં જળબંબાકારના કારણે સરથાણા પોલીસ સ્ટેશનમાં પણ પાણી ભરાઈ ગયા છે. ખાડી પૂરના કારણે સરથાણા વિસ્તારમાં ઘૂંટણથી કમરથી સુધીના પાણી ભરાયા છે. ખાડીના પાણી આખા સુરતમાં ફરી વળ્યા છે, જેના કારણે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હાલ, રેસ્ક્યુ કરવામાં આવેલા લોકોને બુલડોઝરની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે. આ સિવાય મોટાભાગની ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ છે. આટલા પાણીમાં લોકોને વીજ કરંટથી બચાવવા માટે વીજળીના પાવર સપ્લાઇ પણ કાપવામાં આવી રહ્યા છે. જેથી વીજ કરંટના કારણે કોઈ મોટી હોનારતને ટાળી શકાય.