Gujarat

દિલ્હી-લખનૌની આગની દુર્ઘટના બાદ સુરતમાં સ્કૂલોનું ફાયર ઓડિટ શરૂ : ફાયર સેફ્ટી સાધનોની ચકાસણી કરાઈ

By GS TEAM
24 Jun 20262 mins read
TukuTouch Logo
ફાયર સેફ્ટી સાધનો કાર્યરત છે કે નહીં તેની ચકાસણી ; સ્ટાફની તૈયારી અને તાલીમ અંગે પણ લેવાઈ માહિતી

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હી-લખનૌની આગની દુર્ઘટના બાદ સુરતમાં સ્કૂલોનું ફાયર ઓડિટ શરૂ : ફાયર સેફ્ટી સાધનોની ચકાસણી કરાઈ

Surat Fire Brigade : દિલ્હી અને લખનૌમાં તાજેતરમાં બનેલી આગની દુર્ઘટનાઓ બાદ સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં શહેરની વિવિધ શાળાઓમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાનું નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. ફાયર વિભાગની ટીમો દ્વારા શાળાઓમાં ઉપલબ્ધ ફાયર સેફ્ટી સાધનોની સ્થિતિ, તેમની કાર્યક્ષમતા તેમજ આગ જેવી કટોકટીની સ્થિતિમાં સ્ટાફની તૈયારી અંગે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

દિલ્હી અને લખનૌમાં બનેલી આગની ગંભીર ઘટનાઓના પગલે સુરત શહેરમાં પણ સાવચેતીના ભાગરૂપે ફાયર વિભાગ દ્વારા વિવિધ શાળાઓમાં તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ફાયર વિભાગની ટીમો અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લઈ ફાયર સેફ્ટી સંબંધિત તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી રહી છે.

તપાસ દરમિયાન શાળામાં સ્થાપિત ફાયર એક્સ્ટિંગ્વિશર, ફાયર એલાર્મ સિસ્ટમ, ઇમરજન્સી એક્ઝિટ, હાઇડ્રન્ટ સિસ્ટમ અને અન્ય સુરક્ષા સાધનો કાર્યરત સ્થિતિમાં છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. ઘણા સ્થળોએ સાધનોની સર્વિસિંગ, રિફિલિંગ અને જાળવણી અંગેના દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ફાયર વિભાગ માત્ર સાધનોની હાજરી પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ આગ જેવી કટોકટીની સ્થિતિમાં શાળાનો સ્ટાફ કેટલી ઝડપથી અને અસરકારક રીતે પ્રતિસાદ આપી શકે છે તેની પણ ચકાસણી કરી રહ્યો છે. સ્ટાફના સભ્યોને આગ લાગવાની સ્થિતિમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે કેવી રીતે ખસેડવા, ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કેવી રીતે કરવો અને તાત્કાલિક બચાવ કામગીરી કેવી રીતે હાથ ધરવી તે અંગે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે.

સાથે સાથે શાળાઓમાં નિયમિત ફાયર ડ્રિલ યોજવામાં આવે છે કે નહીં, વિદ્યાર્થીઓને ઇમરજન્સી એક્ઝિટ અને સલામતી પ્રક્રિયાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે કે નહીં તેમજ આગની ઘટના સમયે જવાબદારી નક્કી કરાયેલ ટીમ કાર્યરત છે કે નહીં તે મુદ્દાઓની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે.

ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, ફાયર એનઓસી મેળવ્યા બાદ પણ સંસ્થાઓએ સુરક્ષા સાધનો સતત કાર્યરત રાખવા જરૂરી છે. માત્ર નિયમોનું પાલન દર્શાવવા માટે સાધનો સ્થાપિત કરવાથી કામ ચાલતું નથી, પરંતુ કટોકટીની ઘડીએ તેનો અસરકારક ઉપયોગ થઈ શકે તે માટે સ્ટાફને પૂરતી તાલીમ અને જાગૃતિ હોવી પણ એટલી જ જરૂરી છે.

વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન થાય તે હેતુથી આગામી દિવસોમાં પણ શહેરની અન્ય શાળાઓમાં આવી તપાસ ચાલુ રહેશે. જ્યાં ખામીઓ જોવા મળશે ત્યાં જરૂરી સૂચનો આપવામાં આવશે અને ગંભીર બેદરકારી સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.