સુરત જિલ્લા પંચાયતમાં આદિજાતિ વસ્તી 25થી 35 % ત્યાં પંચાયતની તમામ બેઠકો અને 96 % વસ્તી છે તેવા ઉમરપાડામાં એક બેઠક
- સુ. જિ. પંચાયતના નવા વોર્ડ સિમાંકનને લઈને રજૂઆત
ઓલપાડ ચોર્યાસી અને કામરેજ જ્યાં આદિજાતિની 25 થી 35 ટકા વસ્તી છે ત્યાં પંચાયતની તમામ 12 બેઠકો અને મહુવામાં 82 ટકા વસ્તી છે ત્યાં આદિજાતિની એક પણ બેઠક નહીં
સુરત, તા. 07 સપ્ટેમ્બર 2020 સોમવાર
સુરત જિલ્લા પંચાયતના નવા વોર્ડ સીમાંકનમાં જ્યાં અનુ સૂચિત આદિજાતિ (અ.આ.જા)ની 16થી 36 ટકા વસ્તી છે ત્યાં જિલ્લા પંચાયતની તમામ 12 બેઠકો અ.આ.જા.ને ફાળવી દેવાઈ અને મહુવામાં અ.આ.જા.ની 82 ટકા વસ્તી છે તો એક બેઠક પણ નહિ અને ઉમરપાડા તાલુકામાં 96 ટકા અ.આ.જા. વસ્તી છે ત્યાં ફક્ત એક જ બેઠક હોવાથી આથી બેઠક માં ફેરફાર કરવા માગ કરાઈ છે.
સુરત જિલ્લા પંચાયતના નવા વોર્ડ સીમાંકનને લઈને માજી મંત્રી તુષાર ચૌધરીએ ચૂંટણી પંચ સમક્ષ વાધો રજૂ કર્યો છે. તે મુજબ જે સીમાંકન થયું છે.
તેમાં માત્ર ઓલપાડ, ચોર્યાસી તથા કામરેજ તાલુકાની જિલ્લા પંચાયત બેઠકોનું સીમાંકન કરવામાં આવેલ છે. જ્યારે માંગરોળ, ઉમરપાડા, માંડવી, બારડોલી, પલસાણા, મહુવા જેવા તાલુકાઓમાં જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત બેઠકોમાં જરા પણ ફેરફાર કરવામાં આવેલ નથી. હાલમાં બહાર પાડવામાં આવેલ પ્રાથમિક આદેશમાં પ્રથમ નજરે જ વિસંગતતા જોવા મળે છે.
સુરત જિલ્લામાં સમાવિષ્ટ ચોર્યાસી તાલુકામાં કુલ વસ્તીના માત્ર 16.43 % વસ્તી , ઓલપાડ તાલુકામાં કુલ વસ્તીના 23.64 % વસ્તી તથા કામરેજ તાલુકામાં કુલ વસ્તીના 35.94 % વસ્તી અનુસુચિત આદિજાતીના લોકોહોવા છતાં આ તાલુકાની બધીજ 12 બેઠકો અનુસુચિત આદિજાતિની ફાળવી દેવામાં આવી છે.
સામા પક્ષે મહુવા તાલુકામાં કુલ વસ્તીના 81.21 % વસ્તી અનુસુચિત આદિજાતીના લોકો હોવા છતાં એક પણ બેઠક અ.આ.જા.ને ફળવાયેલ નથી. તે જ રીતે ઉમરપાડામાં કુલ વસ્તીના 96.73 % વસ્તી અનુસુચિત આદિજાતીના લોકો હોવા છતાં એક જ બેઠક અ.આ.જા. ને ફાળવાયેલ છે.
આથી મહિલા અનામત માટે હાલમાં પુરૂષ બેઠક હોય ત્યાં સ્ત્રી બેઠકની અનામત આપી રોટેશન કરવું જોઈએ એવી અમારી સ્પષ્ટ માગ છે. અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિની બેઠકો અનામત કર્યા બાદ સામાજિક - શૈક્ષણિક પછાત વર્ગની બેઠકો ફાળવવી જોઈએ ત્યારબાદ બાકીની બેઠકો બિન અનામતને ફાળવવી જોઈએ. હાલમાં પુરૂષ બેઠક હોય ત્યાં રોટેશન કરી મહિલા અનામત બેઠકો કરવી જોઈએ.
હાલમાં સુરત જિલ્લા પંચાયતમાં મતદાર મંડળનો પ્રાથમિક આદેશ આદિવાસી સમાજ અને બિન અનામત સમાજને અન્યાયકર્તા હોઈ આ રીતે ફેરફાર કરવાથી આદિવાસી સમાજ, સામાજિક - શૈક્ષણિક પછાત વર્ગ તથા બિન અનામત સમાજ એમ સર્વે લોકોને ન્યાય મળશે. એવી આશા અને અપેક્ષા સાથે અમારી માંગણી છે.