સુરતમાં ભયાનક ઘટના: પતિએ પત્નીની હત્યા કરી, મૃતદેહ લાકડાની પેટીમાં પૂરી સિમેન્ટથી પેક કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Crime News: સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા એક શખસે પોતાની પત્નીની હત્યા કરી પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને લાકડાની પેટીમાં ભરી ઉપર સિમેન્ટનું સ્તર લગાવી પેક કરી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપી પતિએ હત્યા કર્યા બાદ પોતે જ પુત્રના મોબાઈલથી ચિઠ્ઠી મોકલાવી ગુનાની કબૂલાત કરતા પોલીસ અને પરિવાર સ્તબ્ધ થઈ ગયા છે.
માતા-પિતા પુત્રીને શોધવા સુરત આવ્યા અને સત્ય બહાર આવ્યું
મળતી માહિતી અનુસાર, છત્તીસગઢના જગદલપુરના રહેવાસી પ્રદીપભાઈ કોસ્ટાએ 21મી એપ્રિલે પોતાની 39 વર્ષીય પુત્રી શિલ્પાને ફોન કર્યો હતો, પરંતુ ફોન સ્વિચ ઓફ આવતા તેણે 42 વર્ષીય જમાઈ વિશાલ સાલવીને કોલ કર્યો હતો. વિશાલે જૂઠું બોલીને જણાવ્યું કે શિલ્પા 20મી એપ્રિલે સહારા દરવાજા પાસે ઉતરી ગયા બાદ ઘરે પરત ફરી નથી. ચિંતાતુર પિતા 24મી એપ્રિલે સુરત આવ્યા અને ગોડાદરા પોલીસમાં પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
પુત્રના મોબાઈલથી આવેલી 'એક ચિઠ્ઠી' એ રહસ્ય ખોલ્યું
બીજા દિવસે શિલ્પાના પિતરાઈ ભાઈના વોટ્સએપ પર શિલ્પાના 13 વર્ષના પુત્ર આરવના મોબાઈલથી એક ચિઠ્ઠીનો ફોટો આવ્યો. જેમાં પતિ વિશાલ સાલવીએ લખ્યું હતું કે, 'રોજબરોજના ઝઘડાથી કંટાળીને હું આ ગુનો કરવા મજબૂર થયો છું. 20મી એપ્રિલે મેં આ કૃત્ય કર્યું છે અને તેના માટે હું પોતે જ જવાબદાર છું. શિલ્પાનો મૃતદેહ સહારા દરવાજા કાગજીની ચાલ પાછળના મારા જૂના પતરાવાળા મકાનમાં પહેલા માળે તાળું મારેલું છે ત્યાં છે.' પરિવાર અને પોલીસે તાત્કાલિક તે સ્થળે પહોંચી તપાસ કરતા લાકડાની એક પેટી મળી આવી હતી, જેમાં સિમેન્ટ ભરીને શિલ્પાની લાશને છુપાવવામાં આવી હતી.
શિલ્પાનો મૃતદેહ મળી આવ્યો છે, પરંતુ તેની હત્યા કઈ રીતે કરવામાં આવી છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. લાશ પેટીમાં પૂરેલી હોવાથી પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (FPM) કરાવવાની તજવીજ હાથ ધરી છે. રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. હાલ ગોડાદરા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપી વિશાલ સાલવીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
16 વર્ષનું લગ્નજીવન અને બે સંતાનો
શિલ્પા અને વિશાલના લગ્ન 2010માં થયા હતા અને તેને 13 વર્ષનો પુત્ર આરવ તથા 8 વર્ષની પુત્રી નિતારા છે. લગ્નના શરૂઆતના વર્ષો બાદ બંને વચ્ચે અણબનાવ શરૂ થયા હતા અને વિશાલે ચિઠ્ઠીમાં કરેલા દાવા મુજબ, તે સતત થતા ઝઘડાથી કંટાળી ગયો હતો.









