સુરતમાં વરસાદી પાણી બાદ હવે ખાડી પૂરના પાણી ઘરમાં ઘૂસી ગયા, જાણો કેવી છે સ્થિતિ
Surat Flood : સુરતમાં વરસાદના ભરાયેલા પાણી ઓસર્યા નથી ત્યાં સુરતમાં ખાડી પૂરના પાણી અનેક વિસ્તારોમાં ઘૂસી ગયા છે. જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સીમાડા ખાડી ઓવર ફ્લો થઈ ગઈ છે અને ખાડી કિનારાનાં અનેક વિસ્તારોમાં ખાડીના પાણી ઘૂસી ગયા છે. આ ઉપરાંત અઠવા ઝોનમાં પણ ખાડીના પાણી ઘૂસી જતા સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સુરત શહેર અને જિલ્લામાં સોમવારથી શરુ થયેલા સતત વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી ખાડીઓ બંને કાંઠે વહેતી થઈ છે. જેમાં સીમાડા વિસ્તારમાંથી પસાર થતી ખાડી ભયજનક સ્તર કરતા ઉપર વહી રહી છે, તેના કારણે વરાછા ઝોનમાં ખાડી કિનારે આવેલા અનેક વિસ્તારમાં ખાડી પૂરના પાણી ઘૂસી ગયા છે. આજે પણ સવારે વાદળછાયા વાતાવરણ સાથે વરસાદની બેટિંગ શરૂ થઈ છે.
આ પણ વાંચો: Gujarat Rain : સુરતમાં 13.6 ઇંચ વરસાદથી જળબંબાકાર, 24 કલાકમાં 170 તાલુકામાં મેઘ મહેર
સુરત શહેર સાથે જિલ્લામાં પણ પડેલા ભારે વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી કાંકરા ખાટી, મીઠી ખાડી, ભેદવાડ ખાડી, ભાઠેના ખાડી તથા સીમાડા ખાડી બંને કાંઠે વહેતી થઈ છે. અન્ય ખાડીઓ ભયજનક સ્તરથી નીચે છે પરંતુ સીમાડા ખાડી ઓવર ફ્લો થઈ ગઈ છે. જેના કારણે શહેરના પર્વત પાટિયા, મિડલ રિંગરોડ, કુંભારિયા ગામ, ઝોન ઓફિસ રોડ, ઓમ નગર, કમરૂનગર, ઋષિવિહારમાં ખાડીના પાણી ભરાયા છે.
લિંબાયત ઝોન વિસ્તારમાં ખાડીનું જળસ્તર વધવાના કારણે સંજય નગર ખાતે ના અસરગ્રસ્ત લોકોનું ભીમનગર શાળામાં શિફટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત અઠવા ઝોન ખાતે આવેલા આંબેડકર આઝાદ નગરના રસ્તા પર પાણી ભરવાનું શરૂ થતાં અસરગ્રસ્ત વિસ્તારના લોકોને શિફ્ટિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગત વર્ષે પણ ખાડીમાં આવેલા પૂરના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા તેનું હાલ પુનરાર્વતર્ન થયું છે. અનેક વિસ્તારમાં ખાડી પૂરના પાણી ઘૂસી જતાં લોકોની હાલત કફોડી થઈ રહી છે.
આ પણ વાંચો: દ્વારકા, ભાવનગર અને વડોદરા સહિત 8 જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ, સુરતમાં 24 કલાકમાં 13 ઈંચ વરસાદ
સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં વરસાદી પાણી સાથે ડ્રેનેજના પાણી પણ નીચાણવાળા વિસ્તારમાં ભરાવવાની શક્યતા હોય. પાલિકા તંત્ર દ્વારા ખાડી કિનારે પમ્પ ગોઠવીને નીચાણવાળા વિસ્તારમાં થી પાણી ઉલેચીને ખાડીમાં નાંખવા માટે પમ્પ મૂકવામાં આવ્યા છે. કુંભારિયા ગામ રઘુવીર માર્કેટની પાછળના ભાગે ભદર ફળિયામાં કુલ 8 નાના મોટા વ્યક્તિને સહી સલામત જગ્યા પર સ્થાનાંતર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.