વીમાધારકનું અકસ્માતમાં મોત થયાનું સાબિત થાય તો PM રિપોર્ટ જરૂરી નથી: ગ્રાહક પંચ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News: સુરત જિલ્લા ગ્રાહક કમિશન (મેઈન) એ વીમા ક્ષેત્રે એક મહત્ત્વનો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કમિશને સ્પષ્ટ કર્યું છે કે, જો વીમાધારકનું અકસ્માતમાં અવસાન થયું હોવાનું સાબિત થતું હોય, તો માત્ર પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ ન કરાવ્યો હોવાના ટેકનિકલ કારણસર પર્સનલ એક્સિડેન્ટ વીમો નામંજૂર કરી શકાય નહીં.
ગ્રાહક પંચે આ ચુકાદા સાથે મૃતકના પતિ અને ત્રણ સંતાનને વીમા કંપનીને 2.25 કરોડ રૂપિયાનો ક્લેઈમ વ્યાજ અને વળતર સાથે ચૂકવવા આદેશ કર્યો છે.
શૂટિંગ દરમિયાન અકસ્માત અને વીમા કંપનીનું ટેકનિકલ કારણ
આ કેસ સંજય અગ્રવાલ અને તેમની પત્ની દીપમાલા અગ્રવાલ સાથે સંબંધિત છે. ફરિયાદી સંજય અગ્રવાલની પત્ની દીપમાલા પાસે રિલાયન્સ ફાઈનાન્સિયલ પ્રોટેક્શન પર્સનલ એક્સિડેન્ટ પોલિસી હતી. 4-10-2020ના રોજ દીપમાલા વૃંદાવન સ્ટુડિયો (ઉમરગામ) ખાતે સ્ટેજ પર ઊભા રહી સિરિયલનું શૂટિંગ જોતી હતી, ત્યારે બેલેન્સ ન જળવાતા તે આશરે 10-15 ફૂટ ઊંચેથી નીચે પડી ગયા હતા.
આ અકસ્માતમાં તેમને કમરના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને સુરતની મહાવીર સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં નિદાન થયું કે કમરની નીચેનો ભાગ પેરેલાઈઝડ થઈ ગયો છે. 25-10-2020ના રોજ સારવાર દરમિયાન કોમ્પ્લીકેશન ઊભા થતાં દીપમાલા અગ્રવાલનું અવસાન થયું હતું. તેના પતિ સંજય અગ્રવાલે જ્યારે 2.25 કરોડ રૂપિયાનો વીમા ક્લેઈમ કર્યો, ત્યારે વીમા કંપનીએ (21-4-2022ના રોજ) દીપમાલાનું પોસ્ટમોર્ટમ કરાવેલું ન હોવાનું અને વીમા પોલિસીની શરતો મુજબ PM રિપોર્ટ રજૂ ન કર્યો હોવાનું કારણ દર્શાવી ક્લેઈમ નામંજૂર કર્યો હતો.
ગ્રાહક પંચનો મહત્ત્વનો નિર્ણય
સુરત જિલ્લા ગ્રાહક કમિશને વીમા કંપનીનું ટેકનિકલ કારણ નામંજૂર કરીને ચુકાદો આપ્યો કે, જ્યારે મૃત્યુનું કારણ સ્પષ્ટપણે અકસ્માત હોય અને તેના મેડિકલ પુરાવા હાજર હોય, ત્યારે માત્ર PM રિપોર્ટના અભાવે વીમાનો લાભ અટકાવી શકાય નહીં. આ ચુકાદો વીમા કંપનીઓની ટેકનિકલ જોગવાઈઓ સામે સામાન્ય વીમાધારકોના હિતનું રક્ષણ કરે છે.









