સુરતમાં કોંગી નેતાનો તાપી નદીમાં છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ, ફાયર વિભાગે હેમખેમ બચાવ્યાં
Surat News: રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને સમયાંતરે વિવિધ કારણોસર જીવન ટૂંકાવવાનાં બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે સુરતમાં વરિયાવ બ્રિજ પરથી તાપી નદીમાં કૂદીને કોંગ્રેસ નેતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એક જાગૃત નાગરિકની મદદથી ફાયર વિભાગની ટીમ સમયસર ઘટના સ્થળે પહોંચી જતા તેનો જીવ બચી ગયો હતો.
કોંગ્રેસ નેતા કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા
મળતી માહિતી અનુસાર, સુરતમાં વરિયાવ બ્રિજ પર બુધવારે (પાંચમી જૂન) રાત્રે કોંગ્રેસ નેતા આંટા મારતા જોવા મળ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ તેનો વીડિયો ઉતાર્યો હતો અને ફાયર વિભાગને આ જાણ કરી હતી. નેતાએ નદીમાં કૂદવાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને નેતાને પાણીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ફાયર વિભાગે આ કોંગ્રેસના નેતાને પાણીમાંથી બહાર કાઢીને 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા.
પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, કોંગ્રેસ પક્ષમાંથી વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા આ નેતા ચાર વર્ષથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા. જેના કારણે તેમને ઊંઘ આવતી ન હતી, જેનાથી કંટાળીને તેમણે જીવન ટૂંકાવવાનું પગલું ભર્યું હતું.