- સુરત સિવિલ ખાતે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ખાતે ફાયર અગ્નિશામક સિલિન્ડરની સમય મર્યાદા પૂર્ણ છતા રિફિલિંગ નહીં
(પ્રતિનિધિ દ્વારા )સુરત ગુરૂવાર
સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં ફાયર એસ્ટીંગયુસર( અગ્નિશામક) સિલિન્ડરની એક વર્ષની સમય મર્યાદા પૂર્ણ થઇ ગઇ છતાં ફીલિંગ નહીં કરાવતા ત્યાં ભગવાન ભરોસો હોય એવું લાગે છે. એટલે આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવું પડે તેવી હાલત સર્જાય છે.
પ્રાપ્ત વિગત મુજબ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમા ડિન કચેરી પાસે, લેક્ચર હોલ સહિતના વિવિધ વિભાગમાં પ્રાથમિક રીતે આગને કાબૂમાં લેવા માટે અગ્નિશામક એટલે કે ફાયર સિલિન્ડર વિવિધ વિભાગોમા મૂકવામાં આવ્યા છે અને ફાયર સેફટી માટેની પાણીની લાઈનની પણ વિવિધ વોર્ડ સહિતના વિભાગોમાં અને બિલ્ડિંગમાં વ્યવસ્થા કરવામાં આવી છે.
પણ નવાઈની વાત તો એ છે કે સિવિલની ગવર્મેન્ટ મેડિકલ કોલેજના ડીન કચેરી પાસે સહિતની કેટલીક જગ્યાએ મૂકવામાં આવેલા ફાયર સિલિન્ડરમાં ભરવામાં આવતો ડ્રાય કેમિકલ પાવડરની સમય મર્યાદા પૂર્ણ થયો છે. છતાં મેડિકલ કોલેજના તંત્ર દ્વારા આ સિલિન્ડરમાં રિફિલિંગ કરાવવામાં આવ્યા નથી. તો કેટલીક જગ્યાએ સિલિન્ડર પર સ્ટીકર ચોટાડેલા હોય છે. ત્યાં અમુક જગ્યાએ સિલિન્ડર ક્યારે રિફિલિંગ કરાવ્યું અને ક્યારે પૂર્ણ થાય તે અંગે કોઈ લખાણ સ્ટીકર પર કરવામાં આવ્યું ન હોવાનું સૂત્રોએ કહ્યું હતું. જેને કારણે ત્યાંથી આવતા જતા વિદ્યાર્થીઓ તથા ત્યાં કામ કરતા કર્મચારી જાણે ભગવાન ભરોસે હોય એવું લાગી રહ્યું છે.

નોંધનીય છે કે સુરત શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સહિતના સ્થળો પર ફાયર સેફટી અંગેની સુવિધા ચકાસણી કરવા માટે ફાયર બ્રિગેડની ટીમ જતી હોય છે. જેમાં ફાયર અંગે પૂરતી સુવિધા ના હોવાથી સુવિધા ઉભી કરવા માટે નોટિસ આપવામાં આવે છે. તેવા સમયે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ખાતે કેટલીક જગ્યાએ ફાયર અગ્નિશામક સિલિન્ડરની સમય મર્યાદા પૂર્ણ છતા રિફિલિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.


