સુરત પાલિકાનો અણઘડ વહીવટ, ગોપીપુરાના દાઉજીના ખાંચાને બનાવી દીધો દાઉદ જીનો ખાંચો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Municipal Corporation : સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન દ્વારા વિસ્તારના નામ માટે બનાવાયેલા બોર્ડમાં ઉતારેલી વેઠના કારણે કોટ વિસ્તારની એક ગલી ભગવાન શ્રી કૃષ્ણના મદિર સાથે જોડાયેલી હોવાથી દાઉજી ખાંચા તરીકે ઓળખાતી હતી. પરંતુ પાલિકાએ નવા બોર્ડ લગાવ્યા છે તેમા દાઉજી બદલે દાઉદ જીના ખાંચા તરીકે ઉલ્લેખ કરી દીધો છે. ભગવાન શ્રી કૃષ્ણ અને ભાઈ બલરામને સાથે જોડાયેલા આ વિસ્તારને દાઉદ ના ખાચા તરીકે ઓળખાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં કોટ વિસ્તાર અને સૌથી જુના એવા ગોપીપુરા વિસ્તાર તેની ઐતિહાસિક ઓળખ માટે જાણીતો છે. પરંતુ પાલિકા તંત્રની બેદરકારીના કારણે ઐતિહાસિક ઓળખ ભૂંસાઈ રહી છે. અત્યાર સુધીમાં સુરતના કોટ વિસ્તારમાં કેટલીક ઐતિહાસિક ઇમારતની જાળવણીના અભાવે બિસ્માર થઈ ગઈ છે. તો અસલ કોતરણીવાળી કેટલીય હવેલી કોમર્શિયલ બિલ્ડીંગ માટે ઉપયોગમાં આવી રહી છે આવી ગંભીર ફરિયાદ બાદ હવે પાલિકા તંત્ર દ્વારા વિસ્તારના નામ પણ બદલી કાઢવામાં આવ્યા હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યાં છે. 
પાલિકા તંત્ર જાણે કોટ વિસ્તારના ઈતિહાસ સાથે ચેડા કરતા હોય તેમ વિસ્તારના નામમાં ભાંગરો વાટી રહી છે. ગોપીપુરા મીડલ સ્કૂલ નજીક 128 વર્ષ જુનુ ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના ભાઈ બલરામનું મંદિર આવ્યું છે તે દાઉજી મંદિર તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં 128 વર્ષ જુનું ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર છે અને તે વિસ્તાર મંદિરના નામ સાથે જોડાયેલું છે અને દાઉજીનો ખાંચા તરીકે ઓળખાઈ છે.
જોકે, પાલિકાએ હાલ વિસ્તાર દર્શાવવા માટે જે નવા બોર્ડ મુક્યા છે તેમાં દાઉજી બદલે દાઉદ જી ના ખાંચા તરીકે વિસ્તારને ઓળખાવ્યો છે. આ વિસ્તાર શ્રી કૃષ્ણ ના મંદિર ના કારણે દાઉજી ના ખાંચા તરીકે ઓળખાઈ છે પરંતુ પાલિકા તંત્રએ આ વિસ્તારને દાઉદ જીના ખાંચા તરીકે જાહેર કરતું બોર્ડ મૂકી દીધું છે. સ્થાનિકોમાં રોષ છે કે શ્રી કૃષ્ણ મંદિરના ઓળખ એવા ખાંચાના ગેંગસ્ટર દાઉદ સાથે પાલિકાએ જોડી પાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. પાલિકાએ બોર્ડ બન્યા બાદ એક પણ વખત ચેક કર્યું નહી અને સીધું લગાવી દીધું છે થોડા સમય બાદ લોકોનું ધ્યાન ગયું છે અને લોકો આ બોર્ડ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. 
સ્થાનિકોમાં રોષ છે કે 128 વર્ષ જુનું દાઉજી ( ભગવાન શ્રી કૃષ્ણ)નું મંદિર છે તે પણ પાલિકા તંત્રને ખબર નથી અને સીધા કુખ્યાત ગેંગસ્ટર દાઉદનું નામ લખી દીધું છે. આ બોર્ડ તાત્કાલિક હટાવી પાલિકા તંત્ર કોટ વિસ્તારના ઈતિહાસને સમજે આ તથા અન્ય જગ્યાએ ભાંગરો વાટ્યો છે તે પણ સુધારે તે જરૂરી છે.
2 ફેબ્રુઆરી 1897ના દિવસે મંદિરની સ્થાપના થઈ હતી
ઐતિહાસિક વારસો ધરાવતા સુરતના ગોપીપુરા માં 128 વર્ષ પહેલા દાઉજી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ માટેની તખ્તી પણ મંદિરમાં લગાવવામાં આવી છે. તખતીમાં લખાયું છે કે, 2જી ફેબ્રુઆરી અને 1897ના દીવસે સ્વર્ગસ્થ બાઈ જમના તે શા- જમનાદાસ વિઠ્ઠલદાસ ધણી આણીએ મી દાઉજી મહારાજ ની મૂર્તિ તથા મંદિર ની સ્થાપના કરી હતી.આ ઉપરાંત સમયાંતરે વાડી બિસ્માર તથા અન્યએ તેને રીપેર કરાવી તેવો પણ ઉલ્લેખ કરાયો છે. 
દાઉદ જી ખાંચાના બોર્ડમાં સ્થાનિક કોર્પોરેટરના નામ લખાયા છે
સુરતના ગોપીપુરા માં 128 વર્ષ જૂના કૃષ્ણ મંદિર જેને દાઉજી મંદિર તરીકે ઓળખાઈ છે અને તેના કારણે આ ખાંચાની ઓળખ પણ દાઉજી ના ખાંચા તરીકે થાય છે. આ જગ્યાએ બે બોર્ડ પર દાઉજી નો ખાંચો લખાયું છે. જ્યારે ચાર સ્થાનિક કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી બોર્ડ મુકાયું છે જેમાં દાઉજી બદલે દાઉદ જી નામ લખાયું છે. કોર્પોરેટરોએ ગ્રાન્ટ આપી અને પાલિકાએ બોર્ડ બનાવ્યા આ બન્નેએ કોઈ ધ્યાન આપ્યું ન હોવાથી સુરતના કૃષ્ણ ભગવાન ( દાઉજી)ના બદલે ગેંગસ્ટર દાઉદ નું નામ જોડાઈ ગયું છે.









