સુરતના ચૌટા બજાર દબાણ હટાવવા પાલિકા-પોલીસ માટે મોટો પડકાર : બે દિવસની કામગીરી છતાં ત્રીજા દિવસે દબાણ યથાવત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat : સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસની ગંભીર બેદરકારીને કારણે સુરતનું ચૌટા બજાર ગેરકાયદે દબાણ કરનારા માટે સ્વર્ગ બની ગયું છે. પાલિકા છેલ્લા બે દિવસથી ચૌટા બજારમાં દબાણ દુર કરવાની કામગીરી કરે છે પરંતુ આ કામગીરી દેખાડા પૂરતી હોવાથી દબાણ કરનારાઓને પાલિકા કે પોલીસનો ડર રહ્યો નથી. સુરતના ચૌટા બજારમાં ગેરકાયદે દબાણ માટે હપ્તાનું રાજકારણ ચાલી રહ્યું છે. આ રોડ પાલિકાનો છે તેમ છતાં માથાભારે તત્વો હપ્તા ઉઘરાવે છે અને તે પાલિકા-પોલીસ અને રાજકારણીઓ સુધી પહોંચતા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યા છે.
સુરત પાલિકાએ પોલીસની મદદથી દબણ દુર કરવા માટે પ્રયાસ કર્યા છે પરંતુ તે પ્રમાણિકતાથી થતા ન હોવાથી આ દબાણની સમસ્યા કાયમી ધોરણે દૂર થતી નથી. પાલિકા અને પોલીસની આવી નબળી કામગીરીથી ચૌટા બજાર અને રાજમાર્ગ પર દબાણ કરનારાઓનો ભરડો થઈ ગયો છે. ભુતકાળમાં પાલિકાએ દબાણ દુર કરવાની કામગીરી કરી હતી ત્યારે માથા ભારે દબાણ કરનારાઓ પાલિકાની ટીમ પર હુમલો કરીને પોલીસ સામે સામાન પણ લઈ ગયા હતા. પોલીસ અને પાલિકાની આવી નીતિના કારણે ચૌટા બજારમાં વાહન ચલાવી શકાય તેવી સ્થિતિ નથી. પોલીસ કે પાલિકા આ મુદ્દે ગંભીરતાથી દબાણ દૂર ન કરે તો ભવિષ્યમાં શહેરની શાંતિમાં પલીતો ચંપાય તેવી શક્યતા નકારી શકાતી નથી.
સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોને છેલ્લા બે દિવસથી ચૌટા બજારમાં દબાણ દુર કરવાની કામગીરી શરુ કરી છે પરંતુ આ કામગીરી માત્ર દેખાડા પુરતું છે પાલિકાની ટીમ બે દિવસથી દબાણ દુર કરે છે અને ગણતરીની મીનીટોમાં જ ફરીથી દબાણ થઈ જાય છે. તેમ છતાં પાલિકા કે પોલીસ તંત્ર આક્રમક રીતે કામગીરી કરતી નથી જેનો ભોગ સ્થાનિકો અને વાહન ચાલકો તથા ચૌટાપુરની મુલાકાત લેનારા બની રહ્યાં છે. પાલિકા અને પોલીસની નબળી કામગીરી તથા હપ્તાના રાજકારણના કારણે ચૌટાબજારના દબાણ કાયમી ધોરણે દુર કર થઈ શકતા નથી.








