સુરતમાં યોજાયો માટી મેળો: નારિયેળના છોતરા અને માટીની ગણેશજીની મૂર્તિ, વિસર્જન બાદ ખાતર બની જશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News: સુરતમાં પર્યાવરણની જાળવણી સાથે માટી કામ કરતા કારીગરો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ માટી મેળો યોજાયો છે. આ વર્ષે માટી મેળામાં સુરતના એક કારીગરે માટી અને નારિયેળના છોતરાનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવી છે. દસ દિવસ બાપ્પાની આરાધના કર્યાં બાદ પણ બાપ્પાના આર્શિવાદ ભક્તો સાથે રહે તે માટે વિસર્જન બાદ માટી કુંડામાં જ્યારે નારિયેળના છોડાનો ખાતર તરીકે ઉપયોગ થાય તેવા હેતુથી આ મૂર્તિ કારીગરે બનાવી છે.

નારિયેળના છોતરાનો ખાતર તરીકે ઉપયોગ કરી શકાશે
સુરતમાં ગણેશજીની પ્રતિમા બનાવવાનું કામ કરતા કારીગરોને આત્મનિર્ભર કરવા સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ માટી મેળાનું આયોજન કરાયું છે. વર્ષ 2024માં એક કરોડ રૂપિયાથી વધુની પ્રતિમાનું આ કારીગરોએ વેચાણ કર્યું હતું. આ વર્ષે જોગાણી નગરમાં માટી મેળાનું આયોજન કરાયું છે, તેમાં પુણાના વિનોદ સોંડાગરે શ્રીજીની અનોખી ઈકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવી છે. તેમણે કહ્યં કે, મે વર્ષ 2017માં ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવાની તાલીમ લીધી હતી.'

વિનોદ સોંડાગરે કહ્યું કે, 'નાળિયેરના છોતરા ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ ભક્તો ગણેશ ઉત્સવ માટે લઈ જાય છે. તો કેટલાક માત્ર નારિયેળનાં છોડા માંથી બનેલા શ્રીજીની મૂર્તિ ઘર કે ઓફિસમાં શો પીસ તરીકે પણ લઈ જાય છે. આ પ્રકારની મૂર્તિ પર્યાવરણ માટે ઘણી જ અગત્યની છે અને લોકોની શ્રદ્ધા વધુ જોડાયેલી રહે છે. દસ દિવસ આ પ્રતિમાની સેવા પૂજા કર્યા બાદ વિસર્જન પછી પણ બાપ્પાના આર્શિવાદ ભક્તો સાથે રહી શકે છે. આ મૂર્તિનું ઘેર જ વિસર્જન કરવામાં આવે તો પ્રતિમાની માટી છે તે કુંડામાં કે છોડમાં કામ આવી શકે છે. આ ઉપરાંત નારિયેળનાં છોતરાનો ઉપયોગ ખાતર તરીકે કરવામાં આવે છે.

માટી ભાવનગર અને પોરબંદરથી લાવવામાં આવે છે
ગુજરાત સરકારના માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા સુરત સહિત ગુજરાતના તમામ માટીના કારીગરોને પ્રોત્સાહન મળે તે માટે ખાસ તાલીમ આપવામાં આવે છે. તેમને વેચાણ માટે પ્લેટફોર્મ મળે તે માટે રાજ્યમાં માટી મેળાનું આયોજન થાય છે. વર્ષ 2024માં આ માટી મેળામાં 1 કરોડ રૂપિયાથી વધુની પ્રતિમાનું વેચાણ થયું હતું. કારીગરોને પ્રતિમા બનાવવામાં સરળતા પડે તે માટે માટી ભાવનગર અને પોરબંદરથી લાવવામાં આવે છે આ પ્રોસેસ કરેલી માટી કારીગરોને 50 ટકા સબસીડીથી આપવામાં આવે છે.

સરકારે પર્યાવરણની જાળવણી અને મહિલાઓને રોજીરોટી મળે તે માટે શ્રીજીની પ્રતિમા બનાવવા માટેની તાલીમ આપવામાં આવે છે અને મેળામાં સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવે છે. જેના કારણે શહેરમાં માટીની પ્રતિમા બનાવવાને પ્રોત્સાહન મળી રહ્યું છે અને સાથે કારીગરોને રોજીરોટી પણ મળી રહી છે.








