Get The App

સુરતમાં છેલ્લા 5 વર્ષમાં 28 અધિકારી અને કર્મચારી એસીબીના હાથે ઝડપાયા, છતાં ભ્રષ્ટાચારનો ખેલ યથાવત્!

Updated: Jun 9th, 2026

GS TEAM

Google News
Google News
સુરતમાં છેલ્લા 5 વર્ષમાં 28 અધિકારી અને કર્મચારી એસીબીના હાથે ઝડપાયા, છતાં ભ્રષ્ટાચારનો ખેલ યથાવત્! 1 - image

Corruption in Surat: સુરત મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) વારંવાર કાર્યવાહી કરે છે, અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ લેતા ઝડપાય છે, છતાં સ્થિતિમાં કોઈ મોટો ફેરફાર જોવા મળતો નથી. સુરતમાં છેલ્લા પાંચ વર્ષમાં 28 અધિકારી-કર્મચારીઓ લાંચના કેસમાં ઝડપાયા છે અને એક નિવૃત્ત અધિકારી સામે અપ્રમાણસર સંપત્તિનો ગુનો નોંધાયો છે. આટલી મોટી સંખ્યામાં દરોડા પડવા છતાં પાલિકાના તંત્રમાં કાયદાનો કોઈ ભય જોવા મળતો નથી.

કયા વિભાગો ભ્રષ્ટાચારના મુખ્ય કેન્દ્ર?

સુરતમાં ભ્રષ્ટાચારના મોટા ભાગના કિસ્સાઓ ગેરકાયદે બાંધકામ અને આકારણી વિભાગ સાથે જોડાયેલા હોવાનું જોવા મળે છે. શહેરમાં ગેરકાયદે બાંધકામો સામે કાગળ પર કાર્યવાહી થતી હોવા છતાં આવા બાંધકામો વર્ષો સુધી કેમ ચાલુ રહે છે તે સવાલ વારંવાર ઊભો થાય છે. બીજી તરફ કોન્ટ્રાક્ટરોના બિલ પાસ કરવા અને વિવિધ સરકારી મંજૂરીઓ માટે પણ ચોક્કસ ટકાવારી (કમિશન) ચાલતી હોવાના આક્ષેપો થતા રહ્યા છે.

સજાનો અભાવ લાંચિયાઓ માટે આશીર્વાદ

ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા પાંચ વર્ષમાં 28 અધિકારી-કર્મચારીઓ એસીબીની ઝપેટમાં આવ્યા હોવા છતાં હજુ સુધી કોઈ એક પણ કેસમાં દાખલારૂપ સજા થઈ નથી. કાયદાકીય પ્રક્રિયા લાંબી ચાલતી હોવાથી ઘણા આરોપીઓ જામીન પર મુક્ત થઈને બહાર ફરે છે. પરિણામે, ભ્રષ્ટાચાર સામેનો ભય સતત ઘટી રહ્યો છે. લાંચ લેતા અધિકારીઓ ઝડપાય છે, ફોટા છપાય છે, થોડા દિવસ ચર્ચા થાય છે અને પછી બધું ફરી પહેલાં જેવું થઈ જાય છે.

અધિકારીઓ જ નહીં, વિપક્ષના બે કોર્પોરેટર પણ જેલવાસ ભોગવી ચૂક્યા છે!

સુરત પાલિકામાં માત્ર સરકારી કર્મચારીઓ જ નહીં, પરંતુ જનપ્રતિનિધિઓ પણ લાંચના ચક્રો ચલાવતા હોવાનું સામે આવ્યું છે. ગત ટર્મમાં પાલિકાના વિપક્ષ (આપ)ના બે કોર્પોરેટરો લાંચ કેસમાં જેલવાસ ભોગવી ચૂક્યા છે.

સુરત પાલિકાના પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસેથી પાલિકાના બે અધિકારીઓની હાજરીમાં 11 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. આ અંગે અમદાવાદ એસીબીમાં ફરિયાદ થતાં તપાસ દરમિયાન તત્કાલીન કોર્પોરેટર જીતુભાઈ કાછડીયા અને વિપુલભાઈ સુહાગિયા સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ કિસ્સામાં વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવા અને તત્કાલિન ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર ધનંજય રાણેની સંડોવણી અંગે પણ એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

એસીબીના હાથે ઝડપાયેલા 28 કર્મચારીઓની યાદી

ક્રમલાંચ લેતા પકડાયેલા કર્મચારીનું નામહોદ્દો અને વિભાગ / ઝોન
1નિલેશ રીપુ પટેલઆસી. ઇજનેર (ઈલેક્ટ્રિકલ), કતારગામ
2નિલેશ રામવાતડે. ઇજનેર (ઈલેક્ટ્રિકલ), હાઈડ્રોલિક
3માનસિંગ ચૌધરીકાર્યપાલક ઇજનેર (ઈલેક્ટ્રિકલ)
4પ્રમોદ જરીવાલાઆકારણી અને વસૂલાત અધિકારી
5ભાગ્યેશ ધીવાલાત્રીજી શ્રેણી ક્લાર્ક
6ભીખુ લલ્લુ પટેલટેકનિકલ આસી., હાઈડ્રોલિક
7અશ્વિન ટેલરડે. ટાઉન પ્લાનર
8રાજેશ પરાગ પટેલઆસી. ઇજનેર (સિવિલ)
9જીગ્નેશ નટવર મોદીઆસી. ઇજનેર
10ધીરેન સોંલકીમદદનીશ આરોગ્ય નિરીક્ષક
11લાલજી જોગડિયાસફાઈ કામદાર
12દિપક મકવાણાતાલીમાર્થી સફાઈ કામદાર
13અમૃત પરમારત્રીજી શ્રેણી ક્લાર્ક
14દિપક ગઢીયાજુનિ. મેડિકલ ઓફિસર
15બેચર સોલંકીફાયર ઓફિસર
16દિલીપ દવેત્રીજી શ્રેણી ક્લાર્ક
17મનોજ ચોકસીઆરોગ્ય નિરીક્ષક
18ઈશ્વર સુખા પટેલબેલદાર
19નિલેશ ગામીતત્રીજી શ્રેણી ક્લાર્ક
20કેયુર પટેલજુનિ. ઇજનેર, વરાછા
21નિમેશ ગાંધીપટાવાળા
22પરેશ સુમન પટેલજુનિ. ઇજનેર
23ડેનીશ બારડોલિયામેઈન્ટેનન્સ આસી.
24તેજસ આરીવાલાચીફ એકાઉન્ટન્ટ
25લાલુ પટેલપટાવાળા
26ઈશ્વર પટેલડે. ચીફ ફાયર ઓફિસર
27વિપુલ ગણેશવાલાકાર્યપાલક ઇજનેર
28જીજ્ઞેશ મોદીઆસી. ઇજનેર


સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે દર વર્ષે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ લાંચ લેતા ઝડપાઈ રહ્યા છે, ત્યારે આ દૂષણ અટકતું કેમ નથી? શું માત્ર એસીબીના દરોડા પૂરતા છે? જો તંત્ર હવે પણ કડક ખાતાકીય પગલાં અને સમયસર સજા અપાવવામાં નિષ્ફળ રહેશે, તો ભ્રષ્ટાચારનું આ જાળું વધુ મજબૂત બનશે અને તેની સૌથી મોટી કિંમત સુરતના સામાન્ય નાગરિકોએ ટેક્સ અને લાંચ આપીને ચૂકવવી પડશે.