આજે સૂર્યનો આર્દરા નક્ષત્રમાં પ્રવેશ : રાજ્યમાં 6 દિ'ભારે વરસાદનું એલર્ટ
ગોધરામાં 118, અમરેલીના ધારીમાં 57 KM મહત્તમ પવન નોંધાયો : યોગ દિવસે 135 તાલુકામાં વરસાદ પણ સૌરાષ્ટ્રમાં પ્રમાણ નહીવત્, તા. 23,24ના વરસાદનું જોર વધશે
રાજકોટ, : આવતીકાલે સવારે 6-22 વાગ્યે સૂર્યનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ થશે જેને વૈદિક સમયથી વરસાદ સાથે જોડવામાં આવે છે અને આ સમય એક તો દક્ષિણાયનનો આરંભ છે અને નામ મૂજબ આ નક્ષત્ર જે પખવાડિયુ રહે છે તે સમય ભીનો ભીનો (આર્દ્ર) રહે છે. આ સમયમાં ધરતી ફળદ્રૂપ બનીને નવી ઉપજ માટે તૈયાર થાય છે જેના ઉપર સમગ્ર માનવજાતનું જીવન નિર્ભર છે. જોગાનુજોગ આવતીકાલ હાલ ગુજરાતમાં ભારે વરસાદનું હવામાન સર્જાયું છે અને મૌસમ વિભાગે આવતીકાલથી 6 દિવસ છૂટાછવાયા સ્થળે ભારે અને વ્યાપક સ્થળોએ હળવો-મધ્યમ વરસાદ તીવ્ર પવન,ગાજવીજ સાથે વરસવાનું એલર્ટ જારી કર્યું છે.
આવતીકાલ તા. 22 રવિવારથી જૈનો દ્વારા કેરીનો ત્યાગ કરવામાં આવે છે, ઉપરાંત અન્ય સમાજના લોકોમાં પણ કેરીનું ચલણ ઘટે છે અને રાવણા જાંબુ,ખારેક જેવા ફળો બજારમાં આવવા લાગે છે.
આજે વિશ્વ યોગ દિવસે ગુજરાતમાં 135 તાલુકાઓમાં રાત્રિના 8 વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો છે પરંતુ, સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે વરસાદનું જોર ઓછું રહ્યું છે. મૌસમ વિભાગ અનુસાર આવતીકાલે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ,જામનગર, મોરબી તેમજ વલસાડ,નવસારી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા દર્શાવી છે. તા.૨૩ અને તા.૨૪ના વરસાદની વ્યાપકતા અને જોર વધી શકે છે જેમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જિલ્લામાં અતિ ભારે અને સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, દ્વારકા, બોટાદ, જુનાગઢ વગેરે જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે.