બનાસકાંઠાના સુઇગામમાં 16 ઈંચ તો કચ્છના રાપરમાં 12 ઇંચ વરસાદથી જળબંબાકાર, આજે શાળા-કૉલેજો બંધ
Gujarat and Banaskantha Rain Updates : ગુજરાતમાં હાલમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક અવિતર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ સહિત બનાસકાંઠામાં પણ ગઈકાલે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. છેલ્લા 24 કલાકના આંકડાની વાત કરીએ તો રાતના 12 વાગ્યા સુધીમાં હવામાન વિભાગના આંકડા પ્રમાણે બનાસકાંઠાના સુઇગામમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં અવિરત વરસાદ નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં જિલ્લાના તમામ આંગણવાડી, શાળાઓ, કૉલેજો તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ આજે તા. 8 સપ્ટેમ્બર, 2025ના રોજ બંધ રાખવાનો નિર્ણય બનાસકાંઠા કલેક્ટર દ્વારા લેવાયો છે. આ સાથે ખેડા જિલ્લામાં પણ સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
ભારે વરસાદની સ્થિતિમાં ફસાયેલા નાગરિકો સહાય માટે આ નંબર પર કોલ કરે
બનાસકાંઠાના સુઇગામમાં કેટલો વરસાદ નોંધાયો?
હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સુઇગામમાં આભ ફાટી પડતાં 16.14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જેના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અને રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા. બીજી બાજુ બનાસકાંઠાના જ ભાભરમાં 12.91 અને થરાદમાં 12.48, તથા વાવ વિસ્તારમાં 12.56 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે દિયોદરમાં 6.69 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
કચ્છમાં 12.48 ઇંચ ખાબક્યો
જ્યારે બીજી બાજુ કચ્છમાં પણ મેઘરાજાએ તાંડવ કર્યાની માહિતી મળી છે. કચ્છના રાપરમાં છેલ્લા 24 કલાકમાં 12.48 ઇંચ વરસાદ ખાબકી જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. વાહનચાલકોને ખાસ કરીને ટુરિસ્ટને પણ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજુ તાપી, પાટણ, વલસાડના અમુક તાલુકામાં 4.50 ઇંચ તો અમદાવાદ-ગાંધીનગરમાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.