અટલાદરામાં જેટકો દ્વારા પૂરના જોખમના કારણે બે ફ્લોરનું સબ સ્ટેશન બનાવાશે
વડોદરાઃ વડોદરા શહેરની વધતી જતી વીજ માગને પૂરી કરવા માટે ગુજરાત સરકારની વીજ કંપનીઓ પૈકીની એક જેટકો( ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન)દ્વારા ૬૬ કેવીના નવા સબ સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે.
આ પૈકીના એક અટલાદરા સબ સ્ટેશનનું ખાત મૂહુર્ત તાજેતરમાં જ કરવામાં આવ્યું હતું.મહત્વની વાત એ છે કે, ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે આ સબ સ્ટેશનમાં ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર એમ બે માળ રહેશે.વડોદરામાં બે ફ્લોર પર બંધાઈ રહેલું આ પહેલું સબ સ્ટેશન છે.
વીજ કંપનીના સૂત્રોના કહેવા પ્રમાણે ૨૦૧૩માં સુરતમાં તાપી નદીના પૂરે ભારે તારાજી વેરી હતી અને સબ સ્ટેશનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા.એ પછી સુરતમાં બે માળના સબ સ્ટેશનો બાંધવાનું શરુ કરાયું હતું.હવે જ્યાં જ્યાં જરુર હોય ત્યાં આ પ્રકારની ડિઝાઈન સાથે સબ સ્ટેશનો બનાવાય છે.
અટલાદરાના સબ સ્ટેશનમાં ગ્રાઉન્ડ ફ્લોરની પ્લિન્થ પણ સરેરાશ કરતા ૩ ફૂટ ઉંચી રાખવામાં આવશે.જ્યારે કંટ્રોલ રુમ સબ સ્ટેશનના ફર્સ્ટ ફ્લોર પર રહેશે.આ વિસ્તારમાં ગત વર્ષે ૩ ફૂટ જેટલા પાણી ભરાયા હોવાથી બે માળનું સબ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે.આ સબ સ્ટેશનને આગામી માર્ચ મહિના સુધીમાં કાર્યરત કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, જેટકો દ્વારા વડોદરામાં લગભગ ૧૫૦ કરોડ રુપિયાના ખર્ચે સાત નવા સબ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે અથવા બની રહ્યા છે.આ પૈકી માંજલપુર અને વડસરના સબ સ્ટેશન કાર્યરત થઈ ગયા છે.જ્યારે ફતેગંજ અને સલાટવાડા સબ સ્ટેશનનું કામ હાલમાં ચાલી રહ્યું છે.સયાજીપુરાનું સબ સ્ટેશન આગામી દિવસોમાં કાર્યરત થઈ જશે.જ્યારે બિલ અને ભાયલીના સબ સ્ટેશન બનાવવાનું જલ્દી શરુ કરાશે.
૫૦ ટકા ઓછી જગ્યામાં સલાટવાડા સબ સ્ટેશનનું બાંધકામ
જેટકો દ્વારા ચાર દરવાજા અને જૂના શહેર વિસ્તારની વીજ માગને ધ્યાનમાં રાખીને સલાટવાડા વિસ્તારમાં નવું સબ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે.સામાન્ય રીતે ૬૬ કેવીના સબ સ્ટેશન માટે ૫૦૦૦ ચોરસ મીટર જેટલી જગ્યાની જરુર પડતી હોય છે.જોકે આ ગીચ વિસ્તાર હોવાથી વધારે જગ્યા મળે તેમ નહીં હોવાના કારણે જેટકો દ્વારા માત્ર ૧૯૩૫ ચોરસ મીટર વિસ્તારમાં સબ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે અને આ માટે ગેસ ઈન્સ્યુલેટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.જેના કારણે ઓછી જગ્યામાં વધારે ક્ષમતાવાળા ટ્રાન્સફોર્મર મૂકી શકાય છે.