ડો.શ્રીવાસ્તવ પાસે વીસી બંગલો ખાલી કરાવવા હલ્લાબોલ, ગેટ કૂદી વિદ્યાર્થીઓ અંદર જતા રહ્યા
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે રાજીનામુ આપ્યા બાદ પણ વીસી બંગલો ખાલી નહીં કરી રહેલા ડો.વિજય શ્રીવાસ્તવની તાનાશાહી હવે વડોદરાની જનતામાં પણ ચર્ચાનો વિષય બની છે.
બીજી તરફ ડો.શ્રીવાસ્તવની સામે પડેલા હોસ્ટેલના વિદ્યાર્થીઓ આજે સાંજે બંગલાનો ગેટ કુદીને કમ્પાઉન્ડમાં પ્રવેશી ગયા હતા.વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, જ્યાં સુધી ડો.શ્રીવાસ્તવ બંગલો ખાલી નહીં કરે ત્યાં સુધી અમે હટવાના નથી.વિદ્યાર્થીઓના હલ્લાબોલના કારણે સિક્યુરિટી અને પોલીસ દોડતી થઈ ગઈ હતી.લગભગ ૨૦ જવાનોનો પોલીસ કાફલો વીસી બંગલા ખાતે તૈનાત થઈ ગયો હતો.
બીજી તરફ ડો.શ્રીવાસ્તવની પેરવી કરવા માટે ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલ પણ દોડી આવ્યા હતા.પ્રો.પટેલે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, ડો.શ્રીવાસ્તવ તા.૧૫ માર્ચ સુધીમાં બંગલો ખાલી કરી દેશે.જેની સામે વિદ્યાર્થીઓએ કેમેરા સામે આ બાબતની બાંયેધરી માગી હતી.
દરમિયાન વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, પ્રો.ધનેશ પટેલે કેમેરાની સામે બાંયેધરી આપી છે કે, તા.૧૫ માર્ચ સુધીમાં બંગલો ખાલી થઈ જશે, બંગલો ખાલી કરાવવા માટે આંદોલન કરનારા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી પણ નહીં થાય અને જો ડો.શ્રીવાસ્તવ બંગલો ખાલી નહીં કરે તો પ્રો.ધનેશ પટેલ પણ વિદ્યાર્થીઓની માગણીનું સમર્થન કરશે.ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરે આપેલી બાંયેધરી બાદ અમે ડો.શ્રીવાસ્તવના ઘરની બહાર આખી રાત ધરણા કરવાનો કાર્યક્રમ પડતો મૂકયો છે.