Get The App

સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ ઘટયા, મેથ્સ, સ્ટેટેસ્ટિક જિઓલોજી, જિઓગ્રોફીમાં તમામને પ્રવેશ

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ ઘટયા, મેથ્સ, સ્ટેટેસ્ટિક જિઓલોજી, જિઓગ્રોફીમાં તમામને પ્રવેશ 1 - image

વડોદરાઃ જીકાસ હેઠળ રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં ધો.૧૨ પછીના ડિગ્રી કોર્સમાં પ્રવેશનો ત્રીજો રાઉન્ડ શરુ થયો છે.એમ.એસ.યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીમાં એફવાયબીએસસીના પ્રવેશના ત્રીજા રાઉન્ડમાં વડોદરાના જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે કેમેસ્ટ્રીમાં ૭૫.૫૬ ટકાએ પ્રવેશ અટકયો છે.

એન્વાર્યમેન્ટ સાયન્સમાં વડોદરાના જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ૬૬.૨૫ ટકા, ઝૂલોજીમાં ૫૯.૧૧ ટકા અને બોટનીમાં ૫૫.૩૩ ટકાએ પ્રવેશ અટકયો છે.ફિઝિક્સમાં એપ્લાય કરનાર તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તેમ છે.

એટલુ જ નહીં સાયન્સ ફેકલ્ટીમાં પ્રવેશ માટે એપ્લાય કરનાર વડોદરા તેમજ વડોદરા બહારના( ઓલ ઈન્ડિયા) જનરલ કેટેગરી તથા અનામત કેટેગરીના તમામ વિદ્યાર્થીઓને જિઓગ્રોફી, જિઓલોજી, મેથેમેટિક્સ અને સ્ટેટેસ્ટિકમાં  એડમિશન મળે તેમ છે.

સૂત્રોનું કહેવું છે કે, જીકાસ થકી પ્રવેશ પ્રક્રિયા શરુ થયા બાદ સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.ઘણા વિદ્યાર્થીઓ વિષય પસંદગીમાં થાપ ખાઈ રહ્યા છે.ઓલ ઈન્ડિયા કેટેગરીમાં ઘણા વિદ્યાર્થીઓને જીકાસ અંગે યોગ્ય માહિતી હજી પણ નથી અને તેના કારણે આ વર્ષે બીએસસીની ગ્રાન્ટ ઈન એઈડ અને હાયર પેમેન્ટ કેટેગરીની ૧૫૦૦ બેઠકો પૈકી હજી સુધી ૬૦૦ જેટલી જ બેઠકો પર વિદ્યાર્થીઓએ ફી ભરી છે.આમ ૯૦૦ બેઠકો અત્યારના તબક્કે ખાલી છે.

અત્યારે સૌથી વધારે બોલબાલા કેમેસ્ટ્રી વિષયની છે પરંતુ મેડિકલમાં પ્રવેશ પ્રક્રિયા શરુ થયા બાદ તેનું મેરિટ પણ નીચું આવે તેવી શક્યતા છે.

જીકાસે પીજી માટે ફોર્મ ભરવાની તારીખ લંબાવી પણ 

યુનિ.દ્વારા ૫૭ પરીક્ષાઓના કાર્યક્રમમાં ફેરફાર નહીં થાય

અગાઉ યુનિ, સત્તાધીશો તારીખ લંબાવી ચૂકયા છે તા.૧૦ થી ૧૪ જૂન દરમિયાન જ પરીક્ષા લેવાશે 

જીકાસ દ્વારા વિવિધ સરકારી યુનિવર્સિટીઓમાં પીજી કોર્સમાં પ્રવેશ માટે લેવાતી પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ પણ લંબાવીને ૧૦ જૂન કરવામાં આવી છે અને વેરિફિકેશન તા.૧૨ જૂન સુધી કરાશે તેવી જાહેરાત કરાઈ છે.

બીજી તરફ એમ.એસ.યુનિવર્સિટીએ વિવિધ પીજી કોર્સની ૫૭ જેટલી પ્રવેશ પરીક્ષાઓ તા.૧૦ થી ૧૪ જૂન વચ્ચે લેવાનું નક્કી કર્યું છે.અગાઉ જીકાસની સૂચના અનુસાર યુનિવર્સિટીએ  ફોર્મ ભરવાની મુદત તા.૭ જૂન સુધી લંબાવી હતી.

જોકે જીકાસ દ્વારા ફરી ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે પણ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ પરીક્ષાના શિડયુલમાં કોઈ ફેરફાર કર્યો નથી.ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલે કહ્યું હતું કે,  ઘણા વિદ્યાર્થીઓ બહારગામથી પરીક્ષા આપવા આવનાર છે અને તેમને ધ્યાનમાં રાખીને હવે પરીક્ષાની તારીખો બદલવી શક્ય નથી.વિદ્યાર્થીઓને પરીક્ષાની તારીખ, સમય સાથેની જાણકારી પણ મોકલી દેવામાં આવી છે.

ખાલી બેઠકો પર ઓન ધ સ્પોટ એડમિશન અપાશે

સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રો.કલમકરે એક વાતચીતમાં કહ્યું હતું કે, જીકાસ હેઠળ પ્રવેશ કાર્યવાહી પૂરી થાય તે પછી જેટલી પણ બેઠકો ખાલી હશે તે માટે ફેકલ્ટી દ્વારા ઓન ધ સ્પોટ એડમિશનનો વધુ એક રાઉન્ડ યોજવામાં આવશે.જેમાં વિદ્યાર્થીઓને સ્થળ પર જ મેરિટના આધારે જે વિભાગમાં બેઠકો ખાલી હશે તેમાં પ્રવેશ ઓફર કરવામાં આવશે.

કોમર્સમાં પાદરાના વિદ્યાર્થીઓને પાદરા કોલેજમાં ં પ્રવેશ 

પાદરા અને આસપાસના વિસ્તારોમાં રહેતા વાલીઓ અને વિદ્યાર્થીઓની ઘણા સમયથી માગ હતી કે, પાદરામાં રહેતા વિદ્યાર્થીઓને પાદરા કોમર્સ કોલેજમાં પ્રવેશ આપવામાં આવે.જેથી તેમને વડોદરા કેમ્પસમાં ભણવા માટે ના જવું પડે.કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રો.જે કે પંડયાએ કહ્યું હતું કે આ વર્ષે માગણી સંતોષવામાં આવી છે.પાદરાના વિદ્યાર્થીઓને પાદરામાં જ પ્રવેશ અપાયો છે.સાથે સાથે વડોદરાના જે વિદ્યાર્થીઓને પાદરા કોલેજમાં પ્રવેશ મળ્યો છે તેમને વડોદરા કેમ્પસના વિવિધ યુનિટમાં મેરિટના આધારે પ્રવેશ માટે રિશફલિંગ કરવામાં આવશે.

Tags :