પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો હોસ્ટેલમાં આપઘાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Parul University : વડોદરા નજીકની પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો પરપ્રાંતિય વિદ્યાર્થી એનાજ ગામના વિદ્યાર્થી સાથે દત્તપુરા ગામની હોસ્ટેલમાં રહેતો હતો. રૂમ પાર્ટનર મેસમાં જમીને આવ્યા બાદ પોતાના રૂમમાં ગયો ત્યારે દરવાજો નહીં ખોલતા જોરથી હલાવી દરવાજો ખોલ્યો હતો. ત્યારે યુવકને ગળાફાંસો ખાઈ મોતને વહાલું કર્યો હોવાનું જાણવા મળ્યું હતું તેથી તર્કવિતર્ક થઇ રહ્યા છે.
ઝારખંડ રાજ્યના ગુમલા જિલ્લાના ઘાઘરા ગામના જુગલપ્રસાદના 19 વર્ષના દીકરા શરદકુમાર અભ્યાસ અર્થે વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. અને દતપુરા શિવાલિકા પેલેસ નજીક આવેલી કોડ હોસ્ટેલના 205 નંબરના રૂમમાં રહેતા હતા. તપાસ અધિકારીના કહેવા અનુસાર ગત બપોરે 12:20 કલાકે શરદના ગામનો વતની અને રૂમ પાર્ટનર અનિશપ્રસાદ વિજયપ્રસાદ સાથે મેસમાં જમવા ગયો હતો. જમીને આવ્યા બાદ અનીશે રૂમને અંદરથી બંધ જોયો હતો. તેથી શરદને રૂમનો દરવાજો ખોલવા બૂમ પાડી હતી. પરંતુ કોઈ જવાબ નહીં મળતા અનિશે દરવાજાને જોરથી હલાવી ખોલી નાખ્યો હતો. ત્યારે અંદરનું દ્રશ્ય જોઈ તે હેબતાઈ ગયો હતો. શરદ રૂમમાં છતના પહેલા નંબરના પંખા સાથે પલંગમાં પાથરવાની ચાદર બાંધી ગળાફાંસો ખાઈ લટકી ગયો હતો. તેથી બૂમાબૂમ કરી મુકતા અન્ય વિદ્યાર્થીઓ અને રેક્ટર આવી ગયા હતા. વાઘોડિયા પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલમાં પોસ્ટ મોર્ટમની વિધિ ચાલી રહી છે. કયા કારણસર અંતિમ પગલું ભર્યું તે હજુ જાણી શકાયું નહીં હોવાનું તપાસ અધિકારીએ જણાવ્યું હતું.








