ચોટીલાની તક્ષશિલા સ્કૂલની વિદ્યાર્થિનીને લાખણકા ગામની સ્વામી વિવેકાનંદ સ્કૂલનું એલસી અપાયું
'આવી ગોઠવણ કરવી પડે' કહી શાળાએ હાથ ખંખેરી લીધા
સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા નહીંં થતી હોવાથી બદલવામાં આવી હશે તેમ કહીં જિલ્લા શિક્ષણ અધિકારીએ અસ્પષ્ટ જવાબ આપી છબરડાને ઢાંકવાનો પ્રયાસ કર્યો
અન્ય વિદ્યાર્થીઓ ભોગ ન બને તે માટે જવાબદારો સામે કડક પગલાં વાલીની માંગ
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના સણોસરા ગામની દિકરી જે ચોટીલા તક્ષશીલા એજ્યુકેશન સ્કુલમાં અભ્યાસ કરતી હતી અને અભ્યાસ પૂર્ણ થયા બાદ સ્કુલના સંચાલકો દ્વારા આપવામાં આવેલ સર્ટિફિકેટ લાખણકા ગામની સ્વામી વિવેકાનંદ સ્કુલનું આપતા મોટો છબરડો બહાર આવ્યો છે અને ગામમાં સ્કુલ જ ન હોવા છતાં અન્ય ગામની સ્કુલનું સર્ટિફિકેટ આપવામાં આવતા ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ આ મામલે શિક્ષણાધિકારીને લેખીત રજુઆત કરી જવાબદાર સ્કુલના સંચાલકો સહિતનાઓ સામે કાર્યવાહીની માંગ કરી છે.
ચોટીલા તાલુકાના સણોસરા ગામની વિદ્યાર્થીની સીમરન જાનમહંમદભાઈ જાડેજા ચોટીલાની તક્ષશીલા સ્કુલમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતી હતી. પરંતુ અભ્યાસ પૂર્ણ થતાં સ્કુલના પ્રિન્સીપાલ અને સંચાલકો દ્વારા ચોટીલાથી ૨૦ કિલોમીટર દુર આવેલી લાખણકા ગામની સ્વામી વિવેકાનંદ સ્કુલનું લિવિંગ સર્ટિફિકેટ આપતા મોટો છબરડો બહાર આવ્યો છે. જે સ્કુલ ગામમાં છે જ નહીં તે સ્કુલનું લિવિંગ સર્ટિફિકેટ આપતા વિદ્યાર્થીનીના વાલીઓએ સ્કુલમાં જઈ સંપર્ક કરતા સંચાલકો દ્વારા આ પ્રકારની ગોઠવણ કરવી પડતી હોવાનું જણાવી પોતાની જવાબદારીથી હાથ ઉંચા કર્યા હતા. આ પ્રકારનું કૌભાંડનો અન્ય વિદ્યાર્થીઓ ભોગ ન બને તે માટે વિદ્યાર્થીનીના પિતાએ જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજુઆત કરી છે અને તક્ષશીલા સ્કુલના સંચાલકો સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી છે.
આ મામલે જીલ્લા શિક્ષણાધીકારી એ.એમ.ઓઝાનો સંપર્ક કરતા ચોટીલાના સણોસરા ગામે સ્કુલ ચાલી રહી છે અને સ્કુલમાં વિદ્યાર્થીઓની સંખ્યા નહીંં થતી હોવાથી બદલવામાં આવી હશે અને આ અંગેનો લેટર મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. આમ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જ અસ્પષ્ટ જવાબો આપવામાં આવતા ચર્ચાઓએ જોર પક્ડયું છે. શિક્ષણાધિકારી પોતે જ સણોસરા સ્કુલ હોવાનું જણાવે છે અને સર્ટિફિકેટ લાખણકા ગામનું આપતા હોવાનું પણ આડકતરી રીતે જણાવવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ચોટીલા ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીની સીમરન પોતે જ સણોસરા ગામની છે આથી જો ત્યાં સ્કુલ શરૃ હોત તો ગામથી ૨૦ કિલોમીટર દુર ચોટીલા અભ્યાસ કરવા શા માટે મોકલવામાં આવે ? આમ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પણ સમગ્ર મામલે ઢાકપીછોડો કરવામાં આવતો હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. ત્યારે સ્કુલમાંથી શિક્ષણાધિકારી પાસે લેટર આવ્યા બાદ જ સાચી વિગતો બહાર આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોટીલા તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે મોટાપાયે ગેરરીતીઓ થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે યારે વિદ્યાર્થીનીએ ચોટીલા ખાતે અભ્યાસ કર્યો હોવા છતાં અન્ય ગામની સ્કુલનું લીવીંગ સર્ટિફિકેટ આપી દેતા મોટાપાયે ગેરરીતી અને કૌભાંડ ચાલતું હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે.