- માતા-પિતા અને શિક્ષકો માટે લાલબત્તી સમાન કિસ્સા
- એસિડ ગટગટાવ્યા બાદ વિદ્યાર્થીએ કહ્યું ''પપ્પા મારી ભુલ થઈ ગઈ છે હવે મને બચાવી લો'' : ગાંધીનગરની એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતો હતો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના વિદ્યાર્થીએ એન્જિનયરિંગના અભ્યાસ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યો હતો. વિદ્યાર્થી પરિવારથી વિખેટો પડેલો નહીં હોવાથી હોસ્ટેલમાં ગમતું ન હતું. જેથી માતા-પિતાને અભ્યાસ માટે અહીંથી લઇ જવા વારંવાર કહેતો હતો. જેથી પિતા ગાંધીનગરથી સુરેન્દ્રનગર પુત્રને લાવ્યા હતા. બાદમાં વિદ્યાર્થીએ ડિપ્રેશનમાં આવી આત્મહત્યા નિવારણના દિવસે જ ઘરના બાથરૂમમાં એસિડ ગટગટાવી લીધું હતું બાદમાં પિતાનું કહ્યું કે, ''પપ્પા મારી ભુલ થઈ ગઈ છે હવે મને બચાવી લો''. વિદ્યાર્થીને તાત્કાલિક સુરેન્દ્રનગર બાદ અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અમદાવાદમાં વિદ્યાર્થીનું બે દિવસની સારવારમાં મોત થયું હતું. એકનો એક પુત્રના મોતથી પરિવારમાં શોક છવાયો હતો. પિતાએ આધારસ્તંભ ગુમાવ્યા બાદ બીજા કોઇ દુનિયા જોઇ શકે તે પુત્રની આંખોનું સિવિલ હોસ્પિટલમાં ચક્ષુદાન કર્યું હતું.
વઢવાણ ૮૦ ફૂટ રોડ પર આવેલી શારદાનગર સોસાયટીમાં રહેતા અને માટલા, કુંડા, તાવડી સહિતની અલગ-અલગ આઈટમોનો લારીમાં વિવિધ વિસ્તારોમાં ફરી વેચાણ કરતા સુખદેવભાઈ પરમાર એક દિકરો અને એક દિકરી તેમજ પત્ની સહિત પરિવારજનો સાથે રહે છે. જ્યારે વર્ષોથી પિતાએ પોતાના દિકરા ધવલ પરમારને ઉચ્ચ અને ગુણવત્તા સાથેનો અભ્યાસ કરાવી એજિનિયર બનાવી સમાજમાં નામના મેળવે તે માટે શરૂઆતથી જ પોતાના દિકરાના અભ્યાસ માટે પિતા તનતોડ મહેનત કરતા હતા. જેમાં દિકરાને નાનપણથી જ સારી શાળામાં અભ્યાસ કરાવ્યો હતો અને દિકરી પણ શરૂઆતથી જ અભ્યાસમાં મહેનત કરી શ્રેષ્ઠ પરિણામ લાવ્યો છે જેમાં ધોરણ-૧૦ માં ૮૭ ટકા અને ત્યારબાદ ધોરણ-૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં ૭૬ ટકા માર્કસ સાથે ઉર્તિણ થયો હતો.
ત્યારબાદ પિતા સહિત પરિવારજનોએ દિકરા ધવલને આગળના અભ્યાસ માટે એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવડાવતા તાજેતરમાં ગાંધીનગર ખાતે સરકારી એન્જિનિયરીંગ કોલેજમાં એડમીશન મળ્યું હતું. તેમજ હોસ્ટેલની ફી પણ પિતાએ ભરી દીધી હતી અને દિકરાએ છેલ્લા એક મહિનાથી એન્જિનિયરીંગનો અભ્યાસ ગાંધીનગર ખાતે શરૂ કર્યો હતો. જ્યારે માતા-પિતા અને બહેનથી ક્યારેય વિખુટા નહિં પડેલા દિકરાને પરિવારજનો વગર ગમતું નહિં હોવાથી અવાર-નવાર માતા-પિતાને ગાંધીનગર અભ્યાસ નથી કરવો અને ત્યાંથી લઈ જવાનું જણાવતો હતો જ્યારે માતા-પિતા પણ દિકરાને ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ કારર્કિદી બનશે તેમ જણાવી આશ્વાસન આપતા હતા.
દિકરાએ પિતા સુખદેવભાઈને ગાંધીનગરથી લઈ જવાનું જણાવતા પિતા દિકરાને સુરેન્દ્રનગર ખાતે પરત ઘરે લાવ્યા હતા અને દિકરાને પોતાના ભવિષ્ય અને અભ્યાસ વિશે સમજણ આપી આગળ અભ્યાસ કરવાનું તેમજ કોઈપણ જાતની તેને તકલીફ નહિં પડવા દે તેમ જણાવ્યું હતું જ્યારે દિકરાને પણ પોતાના પિતા શરૂઆતથી જ અથાગ મહેનત કરી અભ્યાસ કરાવી રહ્યાં છે તેનો ખ્યાલ હતો પરંતુ તેમ છતાંય દિકરાએ દરમ્યાન ૧૦મી સપ્ટેમ્બર આત્મહત્યા નિવરાણ દિવસે જ કાંઈપણ સમજ્યા કે જોયા જાણ્યા વગર ડિપ્રેશનમાં આવી ઘરના બાથરૂમમાં પડેલા એસીડ પીધું હતું અને બહાર આવીને પિતાને જણાવ્યું હતું કે ''પપ્પા મારી ભુલ થઈ ગઈ છે હવે મને બચાવી લો''. આથી પિતા સહિતના પરિવારજનો તાત્કાલીક દિકરાને સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પીટલ ખાતે લઈ આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવાનું જણાવતા પરિવારજનો દિકરાને સારવાર અર્થે અમદાવાદ હોસ્પીટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં એક દિવસની સારવાર બાદ ૧૨મી સપ્ટેમ્બરે સવારે ૧૦ વાગ્યા આસપાસ રોજ જીંદગી સામે દિકરો ધવલ જંગ હારી જતા માતા-પિતા સહિત પરિવારજનો પર આભ તુટી પડયું હતું.
આત્મહત્યાનો વિચાર આવે તો મિત્ર કે નજીકના સગા-સબંધી સાથે ચર્ચા કરવી જોઈએ : ડો.રવિ ઠક્કર, એમડી, સાઈક્યાટ્રીક
આ અંગે શહેરના જાણીતા સાઈક્યાટ્રીક ડોક્ટરના જણાવ્યા મુજબ કોઈપણ યુવાન કે વ્યક્તિને આત્મહત્યાનો વિચાર આવે તો સૌપ્રથમ કોઈ મિત્ર કે નજીકના સબંધી સાથે ચર્ચા કરવી જોઈએ. જ્યારે સગા-સબંધીએ પણ તેમને શાંતિથી સાંભળવા જોઈએ અને જરૂર પડે તો સાઈક્યાટ્રીકની મદદ પણ લેવી જોઈએ જેથી હકારાત્મક કાઉન્સીલીંગથી સમસ્યાનો ઉકેલ આવી શકે.
શાળા, પરિવાર અને શિક્ષક તેમજ મિત્રોની મહત્વની ભૂમિકા હોય છે : જિલ્લા શિક્ષણાધિકારી
જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ.ઓઝાએ જીવનનો અંત એ કોઈ સમસ્યાનું સમાધાન નથી આ બાબત બાળમાનસથી જ વિદ્યાર્થીના જીવનમાં ઉતારવી જોઈએ તેમજ બોર્ડની પરીક્ષાઓ પૂર્વે વિદ્યાર્થીઓ માટે તળાવ મુક્તિ અભિયાન યોજી વિદ્યાર્થીઓની વેદના સાંભળવી જોઈએ તેમજ વાલીઓએ પણ માત્ર માર્કસ અને સફળતાની દોડ માટે નહિં પરંતુ પોતાના સંતાનોની તકલીફો સાથે સમાધાનની તૈયારી દર્શાવવી જોઈએ.
માતાએ અર્ધ બેભાન અવસ્થામાં દિકરાને વરરાજા બનાવી હૈયાફાટ રૂદન સાથે વિદાય આપી
ધવલ પરમારની માતા કૈલાસબેન પોતાના એકના એક દિકરાને અનેક અરમાનો જોયા હતા જે તમામ દિકરાનું અવસાન થતાં ચકનાચુર થઈ ગયા હતા. ત્યારે માતાએ પોતાના દિકરાને પીઠી ચોળી, મીઢોળ બાંધી, સાફો પહેરાવી વરરજા બનાવી વિદાય આપી હતી.
લાડકવાયી બહેને પોતાના વિરાને રાખડી બાંધી અંતિમ દર્શન કર્યા
બહેન અંજલીનો એક જ લાડકો ભાઈ ધવલની અણધારી વિદાયથી પોતે ભાંગી પડી હતી અને પોતે અંતિમ યાત્રા પહેલા વિરાને રાખડી બાંધી હતી બહેને વિદાય તો આપી દીધી પરંતુ રક્ષાબંધન કે ભાઈબીજના દિવસોમાં પોતાનો વિરો હવેથી એની પાસે નહિં હોય તેનો અફસોસ આજીવન રહેશે.


