Gujarat

પાયોનિયર કોલેજમાં પ્રોફેસરોના જાતિઆધારિત ત્રાસથી કંટાળી વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ

By GS TEAM
15 Feb 20262 mins read
પાયોનિયર કોલેજમાં પ્રોફેસરોના જાતિઆધારિત ત્રાસથી કંટાળી વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ

આજવા રોડપર આવેલી પાયોનિયર કોલેજમાં બી.એ.એમ.એસ. ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો ૧૯ વર્ષના વિદ્યાર્થીએ બે પ્રોફેસરો દ્વારા જાતિ વિષયક શબ્દો બોલી અવારનવાર પરેશાન કરાતા વિદ્યાર્થીએ કંટાળી કોલેજના ત્રીજા માળેથી છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.

જુનાગઢ નિવાસી અનેવિદ્યાર્થીના કાકા સમીરભાઈ રાઠોડ દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ, વિદ્યાર્થીના પિતાનું અવસાન થતાં તેની દેખભાળ તેઓ જ રાખતા હતા. વિદ્યાર્થી હાલ આજવા રોડ વિસ્તારમાં રહી અભ્યાસ કરતો હતો. ગઈતા. ૧૦ફેબ્રુઆરીના રોજ વિદ્યાર્થીએ કોલેજના ત્રીજા માળે આવેલી બારીમાંથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ માં ખસેડાયો હતો. પરિવારજનો પહોંચતા વિદ્યાર્થીના મિત્રોએ જણાવ્યું કે, કોલેજની કોમલ મેડમ અને ઋષિકેશ સરના ત્રાસથી તેણે આ પગલું ભર્યું છે.

પરિવાર કોલેજ ખાતે પહોંચતા કોમલબેને પોતાની ભૂલ થઈ હોવાની કબૂલાત કરી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારબાદ વધુ સારવાર માટે વિદ્યાર્થીને જુનાગઢ રિફર કરાયો હતો. હાલ વિદ્યાર્થી ભાનમાં આવતા સમગ્ર ઘટનાક્રમ જણાવ્યું હોવાનું જણાવાયું છે. ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે બંને આરોપી પ્રોફેસરો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ એસ.ટી-એસ.સી સેલના એ.સી.પી.સી.બી. સોલંકીએ સંભાળી છે.


પરિવારે પ્રોફેસરને સમજાવ્યા છતાં ત્રાસ આપ્યો

ફરિયાદ મુજબ, એડમિશન સમયે જ કોમલ મેડમે વિદ્યાર્થીની જાતિ વિશે પૂછપરછ કરી હતી. ત્યારબાદ કોમલ મેડમ અને ઋષિકેશ સરજાહેરમાં જાતિ વિષયક શબ્દો બોલી અપમાન કરતા હતા.વિદ્યાર્થી અસ્થમા રોગથી પીડિત હોવાછતાં તેને એક પગે ઊભો રાખતા હોવાનો પણ આક્ષેપ છે. પરિવારે પ્રોફેસરને સમજાવ્યા છતાં ત્રાસ યથાવત રાખવામાં આવ્યો હતો. ફરિયાદમાં વધુમાં ઉલ્લેખ છે કે, તને ડોક્ટર બનવા નહીં દઈએ, તારું વર્ષ બગાડી નાખીશું તેવી ચીમકી આપી હતી.


જાહેરમાં અપમાનથી કંટાળી છલાંગ લગાવી : વિદ્યાર્થી

સારવાર દરમિયાન ભાનમાં આવેલા વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, પ્રોફેસરો વારંવાર જાતિ વિષયક શબ્દો બોલી ભવિષ્ય બરબાદ કરવાની ધમકી આપતા હતા. જનરલ બુકમાં સહી ન કરી પુસ્તક ફેંકી દેવાનો પણ આક્ષેપ કર્યો છે.પગે પડી માફી માંગવા છતાં કાઢી મૂક્યો અને પ્રયોગશાળામાં જાહેરમાં અપમાન કર્યું, હું કંટાળી ગયો અને આત્મહત્યા કરવા ત્રીજા માળેથી કુદી પડ્યો, એમ વિદ્યાથીએ જણાવ્યું હોવાનું ફરિયાદમાં દર્શાવાયું છે.