સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે એસટીની નવી એ.સી. વોલ્વો બસનો પ્રારંભ
એસી બસમાં હીરાસર એરપોર્ટ જઈ શકાશે
ડેપો માંથી સવારે ૯ વાગ્યે ઉપડશે ઃ દિવસ દરમિયાન કુલ આઠ ટ્રીપ કરશે, ભાડુ રૃ. ૧૯૯
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગરથી રાજકોટ જતા મુસાફરોની સુવિધામાં વધારો થાય તે માટે દરરોજ સવારે ૯-૦૦ કલાક થી દર બે થી ત્રણ કલાકે બે એ.સી. વોલ્વો બસ આવન-જાવનનો પ્રારંભ થયો છે. શુક્રવારે સુરેન્દ્રનગર ડેપોમાં એક સાથે બે એ.સી. વોલ્વો બસને આગેવાનોએ લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો.
એસટી ડેપોના એ.ટી.એસ. કિશોરસિંહના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર ડેપો માંથી સવારે ૯-૦૦ કલાકે, ૧૧-૦૦ કલાકે અને સાંજે ૪-૦૦ કલાક, ૬-૦૦ કલાકે એ.સી. વોલ્વો બસ રાજકોટ જવા રવાના થશે. આ બસ સુરેન્દ્રનગરથી ઉપડીને વાયા મુળી, ચોટીલા હાઈવે, રાજકોટ હિરાસર એરપોર્ટ અને રાજકોટ ડેપો ખાતે સ્ટોપ કરશે. એ.સી. વોલ્વો બસનું સુરેન્દ્રનગરથી રાજકોટનું રૃા.૧૯૯/- ટિકિટ ભાડું રહેશે. જ્યારે પ્રથમ દિવસે જ ૪૫ બેઠક વ્યવસ્થા સાથે બંને બસ મુસાફરોથી ભરાઈ જતા પ્રથમ દિવસે જ મુસાફરોનો ઘસારો જોવા મળ્યો હતો. આ તકે નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ અને એસ.ટી. બોર્ડ સમિતિના સભ્ય વનરાજસિંહ રાણા, સુરેન્દ્રનગર ડેપોના મેનેજર ડી.વી.ચૌધરી સહિતનાઓ ઉપસ્થિતિ રહ્યાં હતાં.