વડોદરા,વાઘોડિયારોડ પર લોકોને બચકા ભરતા શેરી કૂતરાના કારણે ભયનો માહોલ છે. સ્થાનિક નાગરિકોએ વારંવાર રજૂઆત કરવા છતાંય તંત્ર કોઇ કાર્યવાહી કરતું નથી.
શહેરમાં રાત્રે શેરી કૂતરાઓ વાહન ચાલકો પાછળ દોડતા હોય છે. જેના કારણે અવારનવાર અકસ્માતો પણ થાય છે.શહેરના કેટલાક વિસ્તારોમાં શેરી કૂતરાઓનો પણ ભય હોય છે. છેલ્લા એક વર્ષથી વાઘોડિયારોડ વૃંદાવન ચાર રસ્તા નજીકની સોસાયટીમાં શેરી કૂતરા લોકોને બચકા ભરે છે. નાના બાળકો ઘરની બહાર એકલા નીકળી શકતા નથી. સ્કૂલ અને ટયુશન જતા બાળકોની પાછળ કૂતરા દોડે છે. અત્યારસુધી ચારથી પાંચ નાના બાળકો અને ૨૦ થી વધુ લોકોને કૂતરાએ બચકા ભરતા તેઓને સારવાર કરાવવી પડી છે. ૮ મહિનાના એક બાળકને એક મહિનામાં જ બે વખત કૂતરાએ બચકા ભર્યા છે. તેને આજે રસી મૂકાવવા માટે પરિવારજનો સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યારે ૧૩ વર્ષના એક કિશોરને પણ કૂતરાએ બચકું ભર્યુ હતું.


