Gujarat

લખતરના કડુ ગામમાં રખડતા શ્વાને મજૂર અને વાછરડાને બચકા ભર્યા

By GS TEAM
15 Feb 20261 min read
લખતરના કડુ ગામમાં રખડતા શ્વાને મજૂર અને વાછરડાને બચકા ભર્યા

- રખડતા શ્વાનના આતંકથી ગ્રામજનોમાં ભય

- લખતર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છાશવારે શ્વાનના હુમલાના બનાવથી રોષ : પકડવા માંગ

લખતર : લખતર તાલુકાના કડુ ગામની સીમમાં ખેતરમાં મજૂરો કામ કરી રહ્યા હતા તે સમયે અચાનક ત્યાં એક શ્વાન (કૂતરુ) આવી પહોંચ્યુ હતું અને કામ કરી રહેલા એક મજૂર પર હુમલો કરી પગ લોહી લુહાણ કર્યો હતો. સદનસીબે અન્ય મજૂરો ભેગા થઈ જતાં શ્વાન ત્યાંથી નાશી છૂટયું હતું. મજૂરને તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. 

જ્યારે બીજા બનાવમાં ત્યાંથી થોડે દુર કડુ ગામનો એક માલધારી પોતાનો માલઢોર ચરાવી રહયો હતો. ત્યાં ફરી પાછુ આ શ્વાને (કુતરુ) ત્યાં પહોચીને એક નાની વાછરડી પર હુમલો કર્યો હતો અને વાછરડીના પેટ તથા પગના ભાગે બચકા ભરી લીધા હતા. માલધારી નજીક આવી પહોચતા શ્વાન ભાગી ગયું હતું. 

હાલ આ રખડતા શ્વાનના કારણે કડુ ગામની સીમ વિસ્તારમાં કામ કરતા ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે. લખતર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છાશવારે શ્વાન દ્વારા બચકા ભરવાના બનાવો બનતા તંત્ર સામે નારાજગી જોવા મળી હતી. આથી રખડતા શ્વાનને ઝડપી પાડી દુર વગડા વિસ્તારમાં છોડી દેવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.