Get The App

નડિયાદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ : નગરજનો, મનપા પરેશાન

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
નડિયાદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ : નગરજનો, મનપા પરેશાન 1 - image

- મનપાની ટીમે જુદાજુદા સ્થળેથી 3 પશુઓ પકડયાં

- મનપાની ટીમ પર હુમલા કરી પશુઓને છોડાવી જનાર પશુના માલિકોને છાવરવામાં આવતા હોવાના આક્ષેપો

નડિયાદ : નડિયાદ શહેરમાં રખડતા પશુઓ નગરજનો અને મહાનગરપાલિકા માટે માથાનો દુખાવો બન્યા છે. રખડતા પશુઓ છાસવારે લોકોને શિંગડે ચડાવતા હોય છે. મહાનગરપાલિકા દ્વારા રોજબરોજ રખડતા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. છતાં શહેરના રાજમાર્ગો પર રખડતા પશુઓના ટોળેટોળાં જોવા મળી રહ્યાં છે. નડિયાદ મહાનગરપાલિકાની ઢોર પાર્ટી દ્વારા સોમવાર બપોર સુધીમાં જુદાજુદા સ્થળેથી ત્રણ જેટલા પશુઓને પકડવામાં આવ્યા હતા. 

નડિયાદ શહેરના સંતરામ રોડ, કોલેજ રોડ, મીલ રોડ, પીજ રોડ સહિત ઠેર ઠેર વાહનોની અવરજવરથી ધમધમતા રોડ ઉપર રખડતા પશુઓનો અડિંગો જોવા મળે છે. રખડતા પશુ છાસવારે લોકોને શિંગડે ચડાવવાના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યાં છે. નડિયાદ મહાનગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવા પાછળ દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. છતાં શહેરમાં રખડતા પશુઓની સમસ્યા ઠેરનીઠેર રહેવા પામી છે. નડિયાદ મનપાની ઢોર પાર્ટી દ્વારા સોમવારે ચેહરમાં શહેરમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં નડિયાદ વાણીયાવડ સર્કલ નજીક, ખેતા તળાવ રોડ અને વર્ગોે કોમ્પ્લેક્સ આગળથી રખડતા પશુઓને પકડવામાં આવ્યા હતા. 

સોમવારે ઢોર પકડવાની કામગીરી દરમિયાન નડિયાદ વાણીયાવડ સર્કલ નજીક જાહેર માર્ગ ઉપર લખડતી ગાયોને મનપાની કર્મચારીઓ દ્વારા દોરડાથી બાંધી વાહનમાં ચડાવવામાં આવી રહી હતી, ત્યારે માલધારીઓ લાકડીઓ લઈને પોતાના પશુને છોડાવવા વાણીયાવડ નજીક રોડ ધસી આવ્યા હતા. આ શખ્સોએ કર્મચારીઓની પકડમાંથી ગાયને છોડાવવા લાકડી વીંઝી ઝપાઝપી કરવા લાગ્યો હતો, પરંતુ ગાયને છોડાવી જવામાં સફળતા મળી ન હતી. મનપાની ટીમ દ્વારા વાણીયાવડ રોડ ઉપર, ખેતા તળાવ તેમજ વર્ગો કોમ્પ્લેક્સ રોડ પર અડિંગો જમાવી બેઠેલી ત્રણ જેટલી ગાયોને પકડી ઢોરડબામાં પૂરવામાં આવી હતી.

મહાનગરપાલિકા દ્વારા પશુઓને ચિપ્સ લગાવવાની કામગીરી હાથ ધરવાની જાહેરાત કરાઈ હતી. તેમજ પોલીસ રખડતા પશુઓને પકડવા જતા કર્મચારીઓની સાથે રહેશે. પરંતુ આ જાહેરાતો માત્ર કાગળ પર જ રહેવા પામી છે. આમ નડિયાદ શહેરમાં રખડતા પશુઓ ને પકડવા જતા કર્મચારીઓ પર રોજબરોજ પશુના માલિકો દ્વારા ઝપાઝપી અને હુમલાના બનાવો જેસે થે રહેવા પામ્યા છે. આમ નડિયાદ શહેરમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી કરતા કર્મચારીઓ સાથે ઝપાઝપી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાને બદલે છાવરવાની નીતિ સામે નગરજનોમાં રોષ ફેલાયો છે.

પશુઓ પકડતા કર્મીઓ ઉપર હુમલા અંગે આઠ જેટલી ફરિયાદો છતાં પરિણામ શૂન્ય

નડિયાદ મહાનગરપાલિકા બન્યાને એક વર્ષ જેટલો સમય થયો. આ સમયગાળામાં ગાયોને પકડનાર કર્મચારીઓ પર હુમલો કર્યા અંગે આઠ જેટલી પોલીસ ફરિયાદો કરવામાં આવી છે. આમ છતાં રોજબરોજ રખડતા પશુઓને પકડવાની કામગીરી કરતા કર્મચારીઓ સાથે માથાભારે શખ્સો દ્વારા પોતાના પશુને છોડાવી જવા હુમલો કરવાના બનાવો યથાવત્ રહ્યા છે.

મૃત પશુ મામલે એક પણ પશુપાલકે ફરિયાદ ન નોંધાવવા પાછળનું રહસ્ય અકબંધ

નડિયાદ શહેરમાં છાસવારે મૃત પશુના અવશેષો મળી આવતા હોય છે. હિન્દુ ધર્મ સેનાના અગ્રણી અત્યાર સુધીમાં ૧૦ જેટલા વિવિધ સ્થળેથી મૃત પશુના અવશેષો મળ્યાના દાવા કરી રહ્યું છે. બીજી બાજુ મૃત પશુના અવશેષો મળ્યા બાદ એક પણ પશુના માલિકે પોતાના પશુની ચોરી કે હત્યા કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ ન નોંધાવવા પાછળનું રહસ્ય અકબંધ રહ્યું છે. ત્યારે જાહેર રસ્તા પરથી મળી આવેલ મૃત પશુના માલિક કોણ તેને લઈ પ્રશ્નો ઉઠવા પામ્યા છે.