Gujarat

સુરેન્દ્રનગરમાં આજે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પરીક્ષા

By GS TEAM
4 Jan 20261 min read
સુરેન્દ્રનગરમાં આજે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પરીક્ષા

પરીક્ષા માટે ૧૦૯ બ્લોકમાં ફાળવાયા

૧૨ કેન્દ્ર પર ૨૫૯૮ ઉમેદવારો પરીક્ષા આપશે ઃ સીસીટીવીથી મોનિટરિંગ કરાશે

સુરેન્દ્રનગરગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્વારા આયોજિત રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ની લેખિત પરીક્ષા આજે રવિવારે સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાશે. જિલ્લાના વિવિધ ૧૨ પેટા કેન્દ્રો પર સવારે ૧૧ઃ૦૦થી બપોરે ૧ઃ૦૦ કલાક દરમિયાન પરીક્ષા લેવામાં આવશે, જેમાં ૨૫૯૮ ઉમેદવારો પરિક્ષા આપશે.

પરીક્ષા પ્રક્રિયાને ક્ષતિરહિત બનાવવા માટે તંત્ર દ્વારા જિલ્લામાં કુલ ૧૦૯ બ્લોક ફાળવવામાં આવ્યા છે. ગેરરીતિ અટકાવવા અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે જવાબદાર ઇન્ચાર્જ અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. તમામ કેન્દ્રો પર સુરક્ષા અને સીસીટીવી મોનિટરિંગની પણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર, રતનપર અને વઢવાણના મુખ્ય શૈક્ષણિક સંકુલોમાં પરીક્ષાના કેન્દ્રો ફાળવાયા છે. જેમાં રતનપરની નીલકંઠ વિદ્યાલય, દર્શન અને શિખર વિદ્યાલય સહિત જોરાવરનગરની ગર્લ્સ હાઈસ્કૂલ અને ડી.એન.ટી. હાઈસ્કૂલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અલ્ટ્રા વિઝન એકેડમી, ઇન્ડિયન પબ્લિક સ્કૂલ અને આર.પી.પી. ગર્લ્સ હાઈસ્કૂલ કેન્દ્ર પર પણ મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા આપશે.