જૂનાગઢ જિ.પં.ના ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું : કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ વચ્ચે કેશોદ એરપોર્ટ ખાતે ગંભીર ચર્ચા થઈઃ પરિણામ બાદ નવાજૂનીનાં એંધાણ
જૂનાગઢ, : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ પ્રચારમાં ગામડાઓ ખૂંદવા મજબુર બન્યા છે એવામાં જૂનાગઢ જિલ્લાના ચૂંટણી પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખે જૂનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણી બાબતે ભાજપમાં જ પડી ગયેલા ખેલ બાબતે આગેવાનોની ફરિયાદ સાંભળવી પડી હતી. કોઈપણ પરિવારમાં સતત ચોથી વખત ટિકિટ ન આપવાના પક્ષના નિર્ણય છતાં સ્થાનિક અગ્રણીએ કણઝા બેઠક પર પોતાનાં પુત્રવધૂનું ફોર્મ માન્ય રહે એવી ગજબની ચાલ ચાલીને નિયમ ઉવેખ્યાની ફરિયાદ થતાં પ્રદેશ ભાજપ પ્રમુખે સમગ્ર બનાવમાં કોણે શું ભૂમિકા ભજવી તેના તપાસ કરવાની સૂચના આપી છે.
ભાજપે નક્કી કર્યું હતું કે, 3 ટર્મ લડેલા વ્યક્તિઓ કે તેના પરિવારમાં ટિકિટ આપવી નહી. આ ભાગરૂપે કણઝા બેઠકના ઉમેદવારની ટિકિટ કપાઈ જાય તેમ હતી જેથી તેણે પોતાના વેવાઈને ટિકિટ અપાવી દીધી હતી. જેને ભાજપે સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા એવા તેમના વેવાઈ ભાજપના આગેવાન કે સક્રિય કાર્યકર ન હતા છતાં તેને ટિકિટ આપવામાં આવી હતી. બાદમાં એવો વળાંક આવ્યો કે એ વેવાઈનું ટેકનિકલ કારણોસર ફોર્મ રદ થયું અને તેના ડમી તરીકે વેવાઈની પુત્રી એટલે કે ત્રણ ટર્મ ચૂંટણી લડેલા વ્યક્તિની પુત્રવધૂનું ફોર્મ માન્ય રહ્યું હતું. સામાન્ય રીતે ભાજપમાં ડમી તરીકે બીજા નંબરના હરીફ દાવેદાર હોય તેનું ફોર્મ ભરવાનું તેવી સૂચના હતી તેનું પણ પાલન થયું ન હતું. ગુજરાત ભાજપના ઈતિહાસમાં કદાચ પ્રથમવાર એવી ઘટના બની કે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવારનું ફોર્મ રદ થયું અને ડમી ઉમેદવારનું ફોર્મ માન્ય રહ્યું.
ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ કરાવવાનો મોટો કારસો થયો હોવા વિશે ખુદ ભાજપના જ આગેવાનોએ પ્રદેશમાં રજૂઆત કરી હતી. દરમિયાન, આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા કેશોદ હતા અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદિશ વિશ્વકર્મા પણ ગીર-સોમનાથના પ્રવાસ અર્થે કેશોદ એરપોર્ટ પર આવ્યા હતા. આ બંને નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં કણઝા બેઠકનો સમગ્ર મુદ્દો ચર્ચાયો હતો અને પ્રદેશ ભાજપ પ્રમુખે સમગ્ર મુદ્દે તપાસના આદેશ આપ્યા છે કે, વેવાઈની ટિકિટ માટે કોણે ભલામણ કરી હતી ? ડમી તરીકે કોનું ફોર્મ ભરવું તે કોણે નક્કી કર્યું હતું ? આ કાંડમાં કોની શું ભૂમિકા રહી છે તે અંગે તપાસ શરૂ થતાં જિલ્લા ભાજપના આગેવાનોમાં ચર્ચાનો મુદ્દો બની ગયો છે. આ અંગે આગામી દિવસોમાં શું નવાજૂની થાય તે મહત્વનું છે.


