Gujarat

ધોરણ 10 અને 12માનાં બોર્ડના રિઝલ્ટ અંગે થઈ મોટી જાહેરાત, સૌથી પહેલું રિઝલ્ટ સામાન્ય પ્રવાહનું આવશે

By GS Team
25 Apr 20202 mins read
This article was originally published on 25 Apr 2020
ધોરણ 10 અને 12માનાં બોર્ડના રિઝલ્ટ અંગે થઈ મોટી જાહેરાત, સૌથી પહેલું રિઝલ્ટ સામાન્ય પ્રવાહનું આવશે

અમદાવાદ, તા. 25 એપ્રિલ 2020, શનિવાર

વિદ્યાર્થીઓના જીવનમાં અભ્યાસ ખૂબ જ મહત્વ ધરાવે છે, તેમાં પણ ધોરણ 10 અને 12 તેમના જીવનના અમુલ્ય વર્ષ હોય છે. ત્યારે ચાલુ વર્ષે દેશ અને દુનિયામાં ફેલાયેલી કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર ખૂબ જ ઊંડી અસર થઈ છે, ત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી છે કે, આ વર્ષે ધોરણ 10 અને 12 બોર્ડનું રિઝલ્ટ જૂનના બીજા વીકમાં આવશે.

કોરોનાના લીધે અનેક શિક્ષકો હાજર રહેતા નથી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોરોનાના કારણે બોર્ડની જવાબવાહી ચકાસણી મોડી ચાલુ થઈ હતી. જવાબવહી ચકાસણીમાં પણ કોરોનાના લીધે અનેક શિક્ષકો હાજર રહેતા નથી. અત્યાર સુધીમાં ધોરણ 10મા 60 ટકા અને 12 સામાન્ય પ્રવાહમાં હજુ 20 ટકા જ જવાબવાહી તપાસાઈ છે. માત્ર ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ જૂન પહેલા આવે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે. હજુ બધી જવાબવાહીની ડેટા એન્ટ્રી પણ બાકી છે.

રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2815
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા છે 2815 જેમાં અમદાવાદના દર્દીઓની સંખ્યા થઈ છે 1821 અર્થાત 64.68 ટકા એટલે કે રાજ્યના કુલ સંક્રમિતોમાં અમદાવાદના કેસ 65 ટકા છે. રાજ્યમાં કોરોના સામે હારી જતાં મોતની સંખ્યા કુલ 127 થઈ છે. જેની સામે અમદાવાદમાં કુલ મોતની સંખ્યા 83 થઈ છે.એટલે કે રાજ્યમાં કુલ મોતની સંખ્યા સામે અમદાવાદમાં થયેલા મોતની સંખ્યા પણ 65 ટકા છે. આમ રાજ્યમાં કોરોના સંક્રમણમાં અમદાવાદ 65 ટકા જેટલું છે. કોરોનાના આંક સતત વધી રહ્યા છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં કોરોના પોઝીટીવ આંક સતત વધી રહ્યો છે. આજે નોંધાયેલા નવા 191 કેસ બાદ કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા પણ 2815 પર પહોંચી છે.

અમદાવાદમાં મોતની સંખ્યા પણ આજે 15
રાજ્યની સાથે સાથે અમદાવાદમાં પણ વધુ 169 કેસ નોંધાયા છે. આજના કેસની વાત કરવામાં આવે તો રાજ્યના કુલ નોધાયેલા કેસોમાંથી 88.48 ટકા કેસ ફક્ત અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં મોતની સંખ્યા પણ આજે 15 લોકોના થયા છે. તો અમદાવાદના કુલ કેસો વધીને 1821 થવા સામે મોતની સંખ્યા 83 થઈ છે. ગુજરાતમાં કોરોના સામે હારી જનારા લોકોની કુલ સંખ્યા 127 સામે અમદાવાદમાં મોતની સંખ્યા 83 એ ખૂબ જ ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યમાં અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં ડિસ્ચાર્જ કરતાં મોતની સંખ્યા બમણી થઈ છે. 15 લોકોના મોત સામે અમદાવાદમાં ફક્ત 7 લોકો જ સાજા થયા છે.