મિલકતના સોદામાં કોઈ પાસે વધુ તો કોઈ પાસે ઓછી ડયૂટી લઈ કરપ્શન કરે તેવી શક્યતા
સ્ટેમ્પ ડયૂટી એક્ટન કલમ ૯ હેઠળ સરકારે મેળવેલી વિવાદાસ્પદ સત્તા:
મિલકત પરની બાકી સ્ટેમ્પ ડયૂટી ભરવા વ્યક્તિ સામેથી જાય તો કલમ ૪૦ની જોગવાઈ હેઠળ તેની પાસેથી દંડ વસૂલી શકાતો જ નથી
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, શનિવાર
ગુજરાત સરકારે સ્ટેમ્પ ડયૂટીના પ્રમાણમાં દરેક કેસમાં અલગ અલગ સ્ટેમ્પ ડયૂટી લઈને કોઈને ફેવર કરવાનો કે પછી કોઈની પાસે તોડીને સ્ટેમ્પ ડયૂટી વસૂલવાનો રસ્તો ખોલી દીધો છે. સ્ટેમ્પ ડયૂટી એક્ટમાં નવી કલમ ૯ દાખલ કરીને આ સત્તા મેળવી લીધી છે. આ કલમનો દુરુપયોગ થવાની અને તેનાથી ભ્રષ્ટાચાર વધવાની શક્યતા રહેલી છે. સ્ટેમ્પ એક્ટની કલમ ૫૩-એમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ કલેક્ટર સર્ટિફિકેટ ઇશ્યૂ થયા તારીખથી છ વર્ષમાં સ્ટેમ્પ ડયૂટી કલેક્ટ કરી લેવી જરૃરી છે. ગુજરાતમાં ૪૦ વર્ષ બાદ સ્ટેમ્પ ડયૂટીની ડિમાન્ડ ઊભી કરવામાં આવી છે.
ગુજરાત સરકાર 1982થી 2001ના ગાળામાં એલોટમેન્ટ લેટર પર મિલકતના કરવામાં આવેલા વેચાણ પર સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવાનો અધિકાર જ ધરાવતી નથી
સ્ટેમ્પ એક્ટની જ કલમ ૪૦માં જોગવાઈ કરવામાં આવી છે કે બાકી સ્ટેમ્પ ડયૂટી ભરવા માટે જે કોઈ વ્યક્તિ સામેથી જાય તો તેની પાસેથી દંડ લેવાનો થતો જ નથી. આ સંજોગમાં સ્ટેમ્પ ડયૂટી ૨૦ ટકા લેવાનીે અને તેના પર ૨૦ ટકાનો દંડ લગાડવાની જોગવાઈને કારણે પણ ૧૯૮૨થી ૨૦૦૧ની સાલ વચ્ચે એલેટમેન્ટ લેટરથી કે પછી પઝેશન લેટરથી ફ્લેટ કે કોમર્શિયલ મિલકત ખરીદનારાઓને અન્યાય થશે. અગાઉ આ દંડની રકમ ૧૦૦ ટકા રાખવામાં આવી હતી. હવે તેને બદલે ૨૦ ટકા દંડ લેવાનો નિર્ણય પણ ઉચિત જ નથી. કલમ ૪૦માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ સામેથી સ્ટેમ્પ ડયૂટી ભરવા જનાર પાસેથી દંડ વસૂલી શકાતો નતી.
સ્ટેમ્પ ડયૂટી સામેથી ભરવા જનાર વ્યક્તિએ સરકારે જૂન ૨૦૨૫માં બહાર પાડેલા નોટિફિકેશન પ્રમાણે જૂની વ્યવસ્થા પ્રમાણે ભરવા પાત્ર થતી સ્ટેમ્પ ડયૂટીના ૨૦ ટકા સ્ટેમ્પ ડયૂટી ભરવાની થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો જૂના નિયમ પ્રમાણએ રૃ. ૫૦૦૦ સ્ટેમ્પ ડયૂટી ભરવાની થતી હોય તો માત્ર જૂન ૨૦૨૫માં કરવામાં આવેલા સુધારા મુજબ મિલકત માલિકે ૨૦ ટકા પ્રમાણે માત્ર રૃ. ૧૦૦૦ જ ભરવાની થાય છે. તેના પર દંડ વસૂલી શકાતો નથી. કારણ કે બાકી સ્ટેમ્પ ડયૂટી ભરવા માટે મિલકતના માલિક સામેથી ગયા છે. આમ સામેથી સ્ટેમ્પ ડયૂટી ભરવા જનાર પાસે દંડની રકમ લેવી તે કાયદાના ભંગ સમાન જ છે. ખુદ સરકારી તંત્ર કાયદાનો આ ભંગ કરે તો તે કોર્ટમાં પડકારવાને પાત્ર બની જાય છે. ખુદ સરકારી તંત્ર કાયદાનો ભગ કરે તે અસહ્ય છે. સરકાર માને છે કે પ્રજા પાસેથી ૪૦૦ ટકાને બદલે ૮૦ ટકા દંડ લેવાની જોગવાઈ કરીને પ્રજાને ખુશ કરી દીધી છે તો તે સરકારનો ભ્રમ છે.
ત્રીજું લિમિટેશન એક્ટ હેઠળ સરકાર ૧૯૮૨નો ટેક્સ ૨૦૨૧માં ૪૦ વર્ષ પછી વસૂલી શકતી જ નથી. જે ટેક્સ જ લઈ શકાતો નથી તે ટેક્સ તો વસૂલે જ છે. ઉપરાંત તેના પર ટેક્સની કુલ રકમના ૮૦ ટકા દંડ વસૂલે છે. આ ધરાર અન્યાયકર્તા છે. ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮(સુધારેલા) સ્ટેમ્પ ડયૂટીની આકારણી કરનાર કલેક્ટર સ્ટેમ્પ ડયૂટી માટેનું સર્ટિફિકેટ આપ્યાની તારીખથી છ વર્ષની અંદર સ્ટેમ્પ ડયૂટી કલેક્ટ કરી શકે છે. તેનો અર્થ એ થયો કે છ વર્ષથી વધુ મુદત થઈ જાય તો તેના પર સ્ટેમ્પ ડયૂટી વસૂલી શકાતી નથી. મિલકત માલિકે ન ભરેલી સ્ટેમ્પ ડયૂટીની રકમ પર વાર્ષિક ૧૫ ટકાના દરે સાદુ વ્યાજ લઈ શકે છે. બોમ્બે-ગુજરાત સ્ટેમ્પ એક્ટમાં વસૂલી કરવાની કાયદેસર સમય મર્યાદા નક્કી ન કરવામાં આવી હોવા છતાં વાજબી સમયમાં તેની વસૂલી કરી લેવા જણાવવામાં આવ્યું છે. કાયદામાં કરવામાં આવેલી પ્રસ્તુત જોગવાઈને ધ્યાનમાં લેતા ૪૦ વર્ષ પછી ડયૂટી વસૂલવી તેને વાજબી સમયગાળા તરીકે ઓળખાવી શકાય નહિ. આમ ગુજરાત સરકાર ૧૯૮૨થી ૨૦૦૧ના ગાળામાં એલોટમેન્ટ લેટર પર મિલકતના કરવામાં આવેલા વેચાણ પર સ્ટેમ્પ ડયૂટી ખરીદવાનો અધિકાર જ ધરાવતી નથી. મુંબઈ હાઈકોર્ટે ૨૦૨૪માં કરેલા અવલોકનમાં જણાવવામાં આવ્યું છે કે પુનરવલોકનની કામગીરી ૧૦ વર્ષમાં થઈ જવી જોઈએ.
કલમ ૯માં શી જોગવાઈ કરવામાં આવી છે
સ્ટેમ્પ એક્ટની કલમ ૯ (ક) જણાવે છે કે કોઈ લેખ અથવા મુકરર વર્ગના લેખ અથવા તે વર્ગના લેખમાંના કોઈ વિશેષ લેખની બાબતમાં અથવા કોઈ વિશેષ વર્ગની વ્યક્તિઓએ કે વ્યક્તિઓને અથવા તો તે વર્ગની કોઈ વિશિષ્ટ વ્યક્તિએ અથવા તો વિશિષ્ટ વ્યક્તિને કરી આપવાના કોઈ લેખની બાબતમાં જે ડયૂટી લેવાને પાત્ર હોય તે આખા રાજ્યમાં અથવા તો તેના કોઈ ભાગમાં કોઈ આગામી અથવા તો પાછલી તારીખથી ઓછી અથવા માફ કરી શકશે.આ કલમ ભૂતકાળ અને નવા દરેક પ્રકારના મિલકત ખરીદી અને વેચાણના કિસ્સામા ભરવાની થતી સ્ટેમ્પ ડયૂટીને લાગુ પડી શકે છે.