વડોદરાના નવાપુરા કહાર મહોલ્લામાં મહિલાના ચારિત્ર્ય અંગેની ટિપ્પણીને લઈ ચાકૂબાજી: બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરના નવાપુરા કહાર મહોલ્લામાં ગઈકાલે રાત્રે મહિલાના ચારિત્ર્ય અંગેની ટિપ્પણી મામલે ચાકુ અને લાકડાના દંડા વડે મારામારીમાં થતા બે વ્યક્તિઓને ઓછીવત્તી ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. નવાપુરા પોલીસે સામ સામે ફરિયાદના આધારે પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, કરણ દિનેશભાઈ કહારે નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે, મારા પિતા દિનેશભાઈ ઘર પાસે બેસ્યા હતા. તે વખતે રેખાબેન સંજયભાઈ કહારે મારા પિતા તેમના આડાસંબંધની વાતો કરતા હોવાની આશંકાએ ઝઘડો કર્યો હતો. અને રેખાબેનના પતિ સંજય ઉર્ફે પપ્પુ કાળુભાઈ કહાર તથા તેનો ભાઈ મુકેશ કાળુભાઈ કહાર આવી પહોંચ્યા હતા. મેં પિતાને છોડાવવા વચ્ચે પડતા સંજયે મને ચાકુના ત્રણથી ચાર ઘા ઝીંકી દીધા હતા. સામાપક્ષે સંજય કહારે ફરિયાદ નોંધાવી હતી કે, દિનેશ ઉર્ફે લાલો ફકીરાભાઈ કહારે મને મારા પત્નીના ચારિત્ર્ય અંગે વાત કરી હતી. આ બાબતે ટોકતા તેના પુત્ર કરણ દિનેશભાઈ કહારને બોલાવી અમારી સાથે ઝઘડો કર્યો હતો. કરણે મારી ઉપર લાકડાના દંડા વડે હુમલો કર્યો હતો. બંને પક્ષની ફરિયાદના આધારે પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.








