ખંભાત- દેહડા- ઝીણજ રોડ પર એસટી બસ કાંસમાં ઉતરી ગઈ
- રસ્તામાં મૃત પશુથી બસને બચાવવા જતા
- અમદાવાદથી રાધનપુર- ખંભાત બસના ડ્રાઈવર- કન્ડક્ટર સહિત 7 મુસાફરોનો આબાદ બચાવ
આણંદ : ખંભાત-દેહડા-ઝીણજ રોડ પર ગઈકાલે મોડી સાંજે એસટી બસ કાંસમાં ઉતરી ગઈ હતી. સદનસીબે બસમાં સવાર પાંચથી ૭ મુસાફરોનો બચાવ થયો હતો. અમદાવાદથી આવતી રાધનપુર-ખંભાત એક્સપ્રેસ બસ ઝીણજથી- દેહડા- ખંભાત તરફ જઈ રહી હતી. ત્યારે એક કિલોમીટર આગળ રસ્તા પર મૃત પશુ પડેલું હોવાથી ડ્રાઈવરે બસને બચાવવા માટે સાઈડમાંથી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. વરસાદને કારણે ટાર સ્લિપ થતા બાજુમાં આળેલા કાંસમાં બસ ઉતરી ગઈ હતી. બસ કાંસમાં ઉતરતા બાજુમાં પડેલું બાઈક પણ એક તરફ ઢસડાઈ ગયું હતું. ડ્રાઈવર, કન્ડક્ટર સહિત બસમાં સવારે પાંચથી સાત મુસાફરોને સદનસીબે કોઈ ઈજા ન થતા આબાદ બચાવ થયો હતો.