- નડિયાદ- સલુણ રોડ પર મોટી દુર્ઘટના ટળી
- નડિયાદથી રામનગર જતી એસટી બસના ડ્રાઈવરની સમયસૂચકતાથી તમામ મુસાફરો હેમખેમ
નડિયાદથી રામનગર તરફ જઈ રહેલી એસટી બસનો ચાલક મુસાફરો ભરીને બસ લઈને જઈ રહ્યો હતો. ત્યારે નડિયાદ-સલુણ રોડ પર આવેલા ગ્રાન્ડ ચેતક પાર્ટી પ્લોટ પાસે રસ્તા પર અચાનક આવી ગયેલા ઢોરને બચાવવા માટે એસટી બસના ડ્રાઈવરે તાત્કાલિક બ્રેક મારી હતી. જોકે, અચાનક બ્રેક મારવા છતાં ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ રોડ વચ્ચેના ડિવાઇડર પર ચઢી ગઈ હતી. બસમાં મોટી સંખ્યામાં પેસેન્જરો સવાર હતા, પરંતુ ડ્રાઇવરની સમયસૂચકતાને કારણે કોઈ મોટી જાનહાનિ કે ગંભીર ઈજા થઈ નથી. તમામ મુસાફરો હેમખેમ રહ્યા હતા. ઘટના બન્યા બાદ, એસટી બસના ચાલકે તાત્કાલિક નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં અકસ્માતની જાણ કરી હતી. જાણ થતાં જ પોલીસ ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
નડિયાદ મનપા રખડતા ઢોર અંગે નક્કર પગલા લેવા માંગણી
નડિયાદ શહેર સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરની મનપાની પોલિસી સામે આ ઘટનાએ ફરી એકવાર પ્રશ્નો ઉભા કર્યા છે. અગાઉ પણ રખડતા ઢોરના કારણે સંખ્યાબંધ અકસ્માતો થયા છે અને જાનહાનિ પણ થઈ છે. ત્યારે નડિયાદ મનપા દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે નક્કર પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.


