Gujarat

ભાવનગર-પાલિતાણા રૂટ પર એકસ્ટ્રા બસ દોડાવવા S.T. તંત્રનું આયોજન

By GS TEAM
17 Dec 20251 min read
ભાવનગર-પાલિતાણા રૂટ પર એકસ્ટ્રા બસ દોડાવવા S.T. તંત્રનું આયોજન

- દોઢ માસ માટે ટ્રેન વ્યવહાર બંધ થતાં ખાનગી વાહનચાલકોની ઉઘાડી લૂંટ

- મુસાફરોને પડતી હાલાકીને ધ્યાને લઈ બોટાદ માટે પણ વધારાની બસો દોડાવવા વિચારણાં

ભાવનગર : ભાવનગર ટર્મિનસ સ્ટેશન યાર્ડમાં પિટ લાઈનનું કામ શરૂ કરવામાં આવતા પાલિતાણા, બોટાદ, સુરેન્દ્રનગરની ટ્રેનોને દોઢ માસ માટે કેન્સલ કરી દેવામાં આવી છે. જેના કારણે મુસાફરોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવી ખાનગી વાહનચાલકોએ ઉઘાડી લૂંટ શરૂ કરી દીધી છે. જેને કાબૂમાં રાખવા એસ.ટી. તંત્ર દ્વારા પાલિતાણા અને બોટાદ રૂટ પર વધારાની બસો દોડાવવા આયોજન કરાઈ રહ્યું છે.

પાલિતાણા, બોટાદથી નોકરી, કામ-ધંધા, અભ્યાસ અર્થે દરરોજ મોટી સંખ્યામાં લોકો અપડાઉન કરે છે. ખાસ કરીને સવરાર અને સાંજના સમયે ટ્રાફિક વધું રહેતો હોય, પૂરતી બસ સેવાના અભાવે લોકોને નાછુટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડી રહી છે. જેના કારણે અગાઉ પાલિતાણા માટેનું ભાડું ૫૦ રૂપિયા હતું. તે ભાડા બે ગણાં કરી હાલ ૧૦૦ રૂપિયા સુધી ભાડું વસૂલવામાં આવી રહ્યું છે. ત્યારે જનતાને લૂંટાતી બચાવવા એસ.ટી.એ વધારાની બસો દોડાવવી જોઈએ તેવી પ્રબળ માંગ ઉઠી છે. આ બાબતે વિભાગીય નિયામકનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ભાવનગર-પાલિતાણા રૂટ પર એકસ્ટ્રા સંચાલન હાથ ધરવા આયોજન થઈ રહ્યું છે. ઉપરાંત મુસાફરોને પડતી હાલાકીને ધ્યાને લઈ બોટાદ માટે પણ વધારાની બસો દોડાવવા વિચારણાં ચાલી રહી છે.