Gujarat

પોલો ગ્રાઉન્ડ ખાતે પતરા ઠોકી પ્રવેશદ્વાર બંધ કરવા મામલે રમતપ્રેમીઓમાં નારાજગી

By GS TEAM
21 Aug 20252 mins read
પોલો ગ્રાઉન્ડ ખાતે પતરા ઠોકી પ્રવેશદ્વાર બંધ કરવા મામલે રમતપ્રેમીઓમાં નારાજગી



પોલો ગ્રાઉન્ડની દિવાલ તોડવા મુદ્દે અગાઉ વિવાદ બાદ હવે મેદાનમાં પતરા ઠોકી દઈ પ્રવેશદ્વાર બંધ કરવા મામલે રમત પ્રેમીઓએ એકત્ર થઈ નારાજગી દર્શાવી મેદાન જાહેર જનતા માટે ખુલ્લું રાખવાની માંગ કરી હતી.

શહેરની મધ્યમાં આવેલ પોલો ગ્રાઉન્ડ મેદાનનો  મોટી સંખ્યામાં રમત પ્રેમીઓ ઉપયોગ કરે છે. હાલ મેદાનમાં થાંભલા લગાવી પતરાની દિવાલ ઉભી કરતા મેદાન સાંકડું બનતા રમત પ્રેમીઓએ એકત્ર થઈ નારાજગી દર્શાવી કહ્યું હતું કે, મેદાન નું કદ ઘટતા ક્રિકેટ પ્રેમીઓ નારાજ છે, ગેટ બંધ કરી પતરા લગાવી દીધા છે, આ નવરાત્રી પુરતું જણાવી ત્યારબાદ હટાવી નાખવાની વાતો સાંભળવા મળી છે, ખરેખર, નિયમ મુજબ મેદાન ખુલ્લું રાખવું જોઈએ તેવી માંગણી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રમતપ્રેમીઓએ આ અંગે વિરોધ નોંધાવી મેદાન ખુલ્લું રાખવામાં ન આવે તો ધરણા યોજવાની ચીમકી આપી હતી. તદુપરાંત માત્ર 10 ફૂટના અંતરે પ્રવેશદ્વાર હોવા છતાં ગ્રાઉન્ડની કમ્પાઉન્ડ વોલ તોડી નાખી સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાના આક્ષેપ સાથે સામાજિક કાર્યકર્તાએ પોલીસ ફરિયાદની ચીમકી ઉચ્ચારી હતી.
...............
ન્યાય નહી મળે તો, કલેક્ટર બંગલો તથા કલેક્ટર કચેરીનો ગ્રાઉન્ડ તરીકે ઉપયોગ કરીશું તેવી ચીમકી

મેદાનમાં માપણી થતા સ્થાનિક આગેવાને કલેક્ટરને લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, જાહેર જનતાના ઉપયોગ માટેના આ મેદાન ઉપર કોઈ પણ જાતનું દબાણ કે બાંધકામ થવું જોઈએ નહીં, કોઈક લોકો દ્વારા કબજો કરી પચાવી પાડવાનો પ્રયાસ છે, જેથી રમતવીરોનું ભવિષ્ય ખોરવાશે અને ઐતિહાસિક ધરોહરને નુકસાન પહોંચશે, અમારી સાથે અન્યાય થશે તો જનતા કલેક્ટર બંગલો તથા કલેક્ટર કચેરીને ગ્રાઉન્ડ તરીકે ઉપયોગ કરવા મજબુર બનશે.