સુરતમાં જનતા કરફ્યૂનો સ્વયંભૂ અમલ જડબેસલાક બંધ, રસ્તાઓ સુમસામ
લોકો ઘરની બહાર નીકળ્યા નહીં ઃ મોટાભાગની સોસાયટીમાં ગેટ બંધ કરી દેવાયા હતા ઃ આજથી લોકડાઉનનો અમલ
કોરોનાના કહેરથી બચવા સુરતીઓ સંગઠિત થયા
સુરત,
તા. 22 માર્ચ2020, રવિવાર
સુરત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના હાહાકાર બાદ વડાપ્રધાન
નરેન્દ્ર મોદીની જનતા કરફ્યૂની અપીલને સુરતના તમામ વિસ્તારમાં સ્વયંભૂ જબ્બર પ્રતિસાદ
સાંપડયો હતો. શહેરના તમામ વિસ્તારમાં આજે વહેલી સવારથી જ રસ્તા સુમસામ જોવા મળ્યા હતા.
જેના કારણે સુરત જડબેસલાક બંધ રહ્યું હતું. વરાછા અને કતારગામ વિસ્તારમાં કેટલાક લોકો
કેટલાક બહાના હેઠળ બહાર જોવા મળ્યા હતા. જોકે, આવતીકાલથી સુરત લોક ડાઉન જાહેર કરવામાં
આવ્યું છે, તેના કારણે હવે રસ્તા પર લોકો નહીં જોવા મળે તેવી કામગીરી કરવા માટે તંત્ર
મક્કમ બની ગયું છે.
કોરોનાના કહેરથી બચવા માટે અને તેના વાયરસની સાયકલ તોડવા માટે રવિવારના દિવસે જનતા કરફ્યૂની અપીલ અસરદાર સાબિત થઈ છે. કોરોનાથી ગભરયેલા લોકોએ સ્વયંભૂ કરફ્યૂનો અમલ કરી દીધો હતો. મોટાભાગની સોસાયટીમાં તો ગેટ જ બંધ કરી દેવામાં આવ્યા હતા. લોકો દૂધ કે શાકભાજી લેવા સિવાય બહાર જોવા મળ્યા ન હતા.
આઝાદી બાદ પહેલી વાર સુરત સહિત ભારતમાં સૌથી મોટું આંદોલન હોય તેમ આજે દિવસ દરમિયાન જનતા કરફ્યૂમાં સુરત આખુ બંધ જોવા મળ્યું હતું. માત્ર દવા, દૂધ અને શાકભાજીની દુકાનો ખુલ્લી જોવા મળી હતી. પરંતુ અગાઉથી જ જનતા કરફ્યૂની ખબર હોવાથી મોટાભાગના લોકએ ખરીદી શનિવારે રાતે જ કરી લીધી હતી.
વહેલી સવારથી જે રસ્તા પર હજારોની સંખ્યામાં વાહનો દોડતાં હોય છે તે શહેરના રીંગરોડ, અડાજણ રોડ, વરાછા, કતારગામ, કોઝવે, રાજમાર્ગ, ભાગળ સહિત શહેરના મોટા ભાગના રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા. અનેક સાસાયટીનો લોકો સોસાયટી તો ઠીક ઘરની બહાર જ નીકળ્યા ન હતા. રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર પણ કોઇ જોવા મળ્યું હતું. જનતા કરફ્યૂ હોવા છતાં કેટલાક લોકો વિવિધ બહાના હેઠળ શહેરમાં આંટા મારતા જોવા મળ્યા હતા પરંતુ આવતિકાલથી સુરત લોકડાઉન હોવાથી સુરતમાં લોકો રસ્તા પર જોવા મળે નહીં તેવી કામગીરી કરવા માટે તંત્ર મક્કમ બન્યું છે.