જામનગરના લાખોટા તળાવની મધ્ય આવેલા મ્યુઝિયમ સાથે ના પક્ષી ઘરમાં અંદાજે 600 જેટલા પક્ષીઓ આવેલા છે. ખાસ કરીને બજરીગર, લવબર્ડ, કાકાટીલ, બતક, પોપટ સહિતના નાની મોટી અનેક પ્રજાતિના ડોમેસ્ટિક સહિતના પક્ષીઓને રાખવામાં આવ્યા છે, અને પ્રજાજનો પ્રતિદિન લાખોટા તળાવની મુલાકાત લે છે.
હાલમાં ખાસ ઉનાળાની સિઝન ચાલી રહી છે, ત્યારે જામનગર મહાનગર પાલિકા ના લાખોટા વિભાગના કર્મચારી હિરેન સોલંકી કે તેઓની ટીમ દ્વારા ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને પક્ષીઓને ઠંડક મળી રહે, તે માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અને પ્રતિદિન દિવસમાં ત્રણ વખત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત હાલ ઉનાળાની સિઝન ચાલતી હોવાથી ઋતુને અનુરૂપ ખોરાક પણ અપાઈ રહ્યો છે. જેમાં તરબૂચ સહિત ના ફળ ફ્રૂટ વગેરે આપીને પક્ષીઓને ઠંડક મળી રહે તેવી વ્યવસ્થા કરાય છે.
તેમજ ઉનાળામાં પક્ષીઓ પાણી વધારે પીએ તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથો સાથ તડકોના લાગે તે માટે પાંજરા ઉપર પ્લાસ્ટિક સહિતના આવરણો પણ ઢાંકવામાં આવી રહ્યા છે.


