સોસિયા : ખેડૂત પુત્રનું ડોક્ટર બનવાનું સ્વપ્ન શૂન્યમાં સમાયું
- અંતિમ યાત્રામાં ગામ હિબકે ચડયું : કરૂણાંતિકાએ હૃદય હચમચાવ્યા
- ભણવામાં ખૂબ જ હોશિયાર રાકેશ દિહોરાએ નીટમાં 660 માર્ક મેળવી બી.જે. મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો
અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મુસાફરો અને મેડીકલ હોસ્ટેલની મેસ, મેડીકલ હોસ્ટેલની બિલ્ડીંગમાં તબીબી ક્ષેત્રના વિદ્યાર્થીઓ-ડોક્ટરો મૃત્યુ પામ્યા હતા. તેમાં તળાજા તાલુકાના સોસિયા ગામના વતની અને હાલ બી.જે. મેડિકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહેલા રાકેશભાઈ દિહોરા (ઉ.વ.૨૦)નું પણ કરૂણ મોત થયું હતું. ભાવિ તબીબ રાકેશભાઈ દિહોરા બપોરે જમવા બેઠા હતા ત્યારે વિમાન અથડાતા તેઓને ગંભીર ઈજા થતાં મૃત્યુ થયું હતું. ખેડૂત પરિવારમાંથી આવતા રાકેશભાઈ પાંચ બહેન અને બે ભાઈ મળી કુલ સાત ભાઈ બહેન હતા. નાનપણથી જ ભણવામાં હોશિયાર રાકેશભાઈએ ધો.૯, ૧૦નો અભ્યાસ ભાવનગરની સ્વામિનારાયણ ગુરૂકુળ સ્કૂલમાં, ધો.૧૧ અને ધો.૧૨ સાયન્સનો અભ્યાસ જ્ઞાાનમંજરી સ્કૂલમાં કર્યા બાદ નીટની પરીક્ષા આપી તેમાં પણ ૬૬૦ માર્ક્સ મેળવી સરકારી ક્વોટામાં જ અમદાવાદના અસરવા સ્થિત બી.જે. મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. તેઓ એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા હતા. ત્યાં ગત ગુરૂવારની ઘટનાએ તેઓનો જીવ હણી લેતા શ્રમજીવી દિહોરા પરિવાર અને સોસિયા ગામના લોકો શોકગ્રસ્ત બન્યા હતા. ભાવિ તબીબની અંતિમ યાત્રામાં રાજકીય, સામાજિક આગેવાનોએ મોટી સંખ્યામાં જોડાઈ પરિવારને સાંત્વના પાઠવી હતી.