Get The App

સોસિયા : ખેડૂત પુત્રનું ડોક્ટર બનવાનું સ્વપ્ન શૂન્યમાં સમાયું

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
સોસિયા : ખેડૂત પુત્રનું ડોક્ટર બનવાનું સ્વપ્ન શૂન્યમાં સમાયું 1 - image


- અંતિમ યાત્રામાં ગામ હિબકે ચડયું : કરૂણાંતિકાએ હૃદય હચમચાવ્યા

- ભણવામાં ખૂબ જ હોશિયાર રાકેશ દિહોરાએ નીટમાં 660 માર્ક મેળવી બી.જે. મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો

તળાજા : તળાજા તાલુકાના સોસિયા ગામના ખેડૂત પરિવારનો પુત્ર ડોક્ટર બનવાનું સ્વપ્ન લઈ એમબીબીએસનો અભ્યાસ કરવા અમદાવાદ ગયો હતો. પુત્ર તબીબ બન્યા બાદ પરિવારને પણ માન, મોભો અને સન્માનનું જીવન મળશે તેવા સપનાઓ સેવ્યા હતા. પરંતુ પ્લેન ક્રેશની દુર્ઘટનાએ ખેડૂત પુત્રનું ડોક્ટર બનવાનું સ્વપ્ન શૂન્યમાં સમાવી દીધું હતું. માત્ર ૨૦ વર્ષની નાની આયુએ ભાવિ તબીબનું મૃત્યુ થતાં પરિવાર ઉપર દુઃખનો ડુંગર પડયો હતો. પોતાના લાડકવાયા દિકરાના મૃતદેહને જોઈને પરિવારના હૈયાફાટ રૂદનથી અંતિમ યાત્રામાં જોડાયેલું ગામ હિબકે ચડયું હતું. એક ક્ષણે કોણ કોને સાંત્વના આપે ? તેવી કરૂણાંતિકાએ તમામ લોકોના હૃદય હચમચાવી નાંખ્યા હતા.

અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મુસાફરો અને મેડીકલ હોસ્ટેલની મેસ, મેડીકલ હોસ્ટેલની બિલ્ડીંગમાં તબીબી ક્ષેત્રના વિદ્યાર્થીઓ-ડોક્ટરો મૃત્યુ પામ્યા હતા. તેમાં તળાજા તાલુકાના સોસિયા ગામના વતની અને હાલ બી.જે. મેડિકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહેલા રાકેશભાઈ દિહોરા (ઉ.વ.૨૦)નું પણ કરૂણ મોત થયું હતું. ભાવિ તબીબ રાકેશભાઈ દિહોરા બપોરે જમવા બેઠા હતા ત્યારે વિમાન અથડાતા તેઓને ગંભીર ઈજા થતાં મૃત્યુ થયું હતું. ખેડૂત પરિવારમાંથી આવતા રાકેશભાઈ પાંચ બહેન અને બે ભાઈ મળી કુલ સાત ભાઈ બહેન હતા. નાનપણથી જ ભણવામાં હોશિયાર રાકેશભાઈએ ધો.૯, ૧૦નો અભ્યાસ ભાવનગરની સ્વામિનારાયણ ગુરૂકુળ સ્કૂલમાં, ધો.૧૧ અને ધો.૧૨ સાયન્સનો અભ્યાસ જ્ઞાાનમંજરી સ્કૂલમાં કર્યા બાદ નીટની પરીક્ષા આપી તેમાં પણ ૬૬૦ માર્ક્સ મેળવી સરકારી ક્વોટામાં જ અમદાવાદના અસરવા સ્થિત બી.જે. મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. તેઓ એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા હતા. ત્યાં ગત ગુરૂવારની ઘટનાએ તેઓનો જીવ હણી લેતા શ્રમજીવી દિહોરા પરિવાર અને સોસિયા ગામના લોકો શોકગ્રસ્ત બન્યા હતા. ભાવિ તબીબની અંતિમ યાત્રામાં રાજકીય, સામાજિક આગેવાનોએ મોટી સંખ્યામાં જોડાઈ પરિવારને સાંત્વના પાઠવી હતી.

Tags :