Get The App

સોરઠનો પ્રખ્યાત મગફળી ઉદ્યોગ મંદીના ભરડામાં, ૬પ ટકા યુનિટ બંધ

Updated: Dec 15th, 2024

GS TEAM


Google News
Google News
સોરઠનો પ્રખ્યાત મગફળી ઉદ્યોગ મંદીના ભરડામાં, ૬પ ટકા યુનિટ બંધ 1 - image


દેશમાં સૌથી વધુ શિંગદાણાનાં કારખાના આવ્યા છે સોરઠમાં

વિદેશમાં ઓછી માંગ હોવાથી જે ભાવે મગફળીમાંથી દાણાંની પડતર થાય છે તેના કરતાં બજારમાં ઓછા ભાવ

જૂનાગઢ : સમગ્ર દેશમાં શિંગદાણાનો સૌથી મોટો ઉદ્યોગ જૂનાગઢમાં છે. આ ઉદ્યોગ હાલ મંદીના ભરડામાં સપડાયો છે. શિંગદાણાની માંગ ન હોવાથી ૬પ ટકાથી વધુ યુનિટ બંધ થઈ ગયા છે. જ્યારે વિદેશમાં શિંગદાણાની માંગ શરૃ થશે ત્યારે આ યુનિટ ધમધમતા થશે. છેલ્લા બે વર્ષથી મગફળીના જોઈએ તેવા ભાવ ન થતાં અને ભાવમાં ઉછાળો ન આવતાં જૂનાગઢનો મુખ્ય ઉદ્યોગ બંધ જેવી હાલતમાં હોવાથી બજાર પર તેની મોટી અસર વર્તાઈ રહી છે.

જૂનાગઢ, ગીર-સોમનાથ, પોરબંદર જિલ્લામાં સૌથી વધુ મગફળીનું વાવેતર થાય છે. સૌથી વધુ મગફળીનું વાવેતર આ વિસ્તારમાં થતું હોવાથી શિંગદાણાનો મોટો ઉદ્યોગ જૂનાગઢમાં ધમધમી રહ્યો છે. જૂનાગઢના શિંગદાણાના કારખાનામાં તૈયાર થયેલા દાણા દેશ-વિદેશમાં જાય છે. ગત વર્ષની જેમ આ વખતે પણ આ ઉદ્યોગને મંદીની મોટી અસર થઈ છે. મગફળીના ભાવ નીચા છે અને તેની વિદેશમાં માંગ ઓછી હોવાથી અનેક શિંગદાણાના કારખાના બંધ થઈ ગયા છે અને હજુ બંધ થવાની તૈયારીમાં છે. જૂનાગઢમાં ૧૮૦થી વધુ તથા કેશોદમાં ૧ર૦ જેટલા શિંગદાણાના કારખાના ધમધમી રહ્યા છે, જેમાંથી ૬પ ટકા જેટલા કારખાના બંધ થઈ ગયા છે. માત્ર ૩પ ટકા જેટલા કારખાના ધીમી ગતિએ ચાલી રહ્યા છે.

શિંગદાણાના કારખાના ધરાવતા વેપારીઓના જણાવ્યા મુજબ આ વખતે મગફળી એક ખાંડી(ર૦ મણ)ના કારખાને પહોંચતાના રર,પ૦૦ જેટલા છે. આ ભાવે મગફળી ખરીદી કરી દાણા તૈયાર કરવામાં આવે તો તમામ ખર્ચ સહિતનો હિસાબ કરવામાં આવે તો ૮૪થી ૮૬ રૃપિયા એક કિલો મગફળીના ભાવે પડે છે. જ્યારે બજારમાં દાણાના ૭૮થી ૮ર રૃપિયા ભાવ છે. જો વેપારી મગફળીમાંથી દાણા તૈયાર કરે તો તેને કિલોએ ૪થી ૬ રૃપિયા જેટલી નુકસાની સહન કરવાનો વારો આવી રહ્યો છે. જેના કારણે મગફળીના કારખાનાઓ હાલ પુરતા બંધ થઈ રહ્યા છે. વિદેશમાં જ્યારે શિંગદાણાની સારી એવી ઘરાકી નીકળશે તો ફરી દાણાના ભાવમાં ઉછાળો આવે તો કારખાના ધમધમતા થાય તેમ છે.

આવી સ્થિતિ વચ્ચે શિંગદાણાના યુનિટ જો શરૃ રાખવામાં આવે તો વેપારીઓને નુકસાન જાય તેમ છે અને દાણાનો સ્ટોક થતો જાય તો પૈસાનું પણ ખૂબ મોટું રોકાણ થઈ જાય છે. રોકાણ બાદ પણ દાણાની બજારમાં સુધારો ન આવે તો વેપારીઓને મોટું નુકસાન સહન કરવાનો વારો આવે તેવી શક્યતાઓને ધ્યાને લઈ વેપારીઓ કોઈપણ જાતનું જોખમ લેતા નથી. ગત વર્ષે પણ મગફળીના ઓછા ભાવ રહ્યા હતા અને તેમાં પણ વેપારીઓની આશા મુજબ ઉછાળો ન આવતા મગફળીનો સંગ્રહ કરતા વેપારીઓને તેજીની આશાએ મોટી નુકસાની કરાવી હતી. આ વખતે પણ આવી સ્થિતિ થાય તેમ સમજી વેપારીઓ મગફળીનો સ્ટોક કરતા નથી. ખેડૂતોને પણ મગફળીના ઓછા ભાવ મળતા હોવાથી અનેક ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેંચવા મજબુર બની રહ્યા છે. હવે શિંગદાણાની માંગમાં ક્યારે વધારો થાય તે મહત્વનું છે.

મોટાભાગની જમીનમાં મગફળીનું થાય છે વાવેતર

જૂનાગઢ જિલ્લાની ૩.ર૮ લાખ હેક્ટર વાવેતર લાયક જમીનમાંથી ૧.૯ર લાખ હેક્ટરમાં, ગીર-સોમનાથ જિલ્લાની ૧.૪૮ લાખ હેક્ટર વાવેતર લાયક જમીનમાંથી ૭૮ હજાર હેક્ટર જમીનમાં અને પોરબંદરની ૧.૧૦ લાખ હેક્ટર જમીનમાંથી ૭પ હજાર હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું.

Tags :