MSUમાં ફાઈન આર્ટસની વિદ્યાર્થિનીના મોત બાદ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે SOP તૈયાર થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara M S University : એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં પેઈન્ટિંગની વિદ્યાર્થિનીનું ક્લાસરૂમમાં કરંટ લાગવાથી મોત થયા બાદ યુનિવર્સિટી સત્તાધીશો સફાળા જાગ્યા છે. કેમ્પસમાં અભ્યાસ કરતા 50000 જેટલા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક હાઈ પાવર કમિટિ બનાવવામાં આવી છે.
આ કમિટિના કન્વીનર તરીકે સોશ્યલ વર્ક ફેકલ્ટીના પૂર્વ ડીન અને કંટ્રોલર ઓફ એક્ઝામ પ્રો.ભાવના મહેતાની નિમણૂક કરાઈ છે. તેની સાથે કમિટિમાં હોમસાયન્સ, સાયન્સ, પરફોર્મિંગ આર્ટસ, કોમર્સ, લો ફેકલ્ટીના પાંચ ડીન, આર્ટસ ફેકલ્ટીના પ્રોફેસર હિતેશ રાવિયા, રજિસ્ટ્રાર ડો.ચૂડાસમા અને જોઈન્ટ રજિસ્ટ્રાર મયંક વ્યાસનો સમાવેશ કરાયો છે.
આ કમિટિ દ્વારા સાત દિવસની અંદર વિદ્યાર્થીઓની ક્લાસરુમની અંદર તેમજ ક્લાસરૂમની બહાર સુરક્ષા માટે એક એસઓપી( સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) તૈયાર કરવામાં આવશે અને યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓમાં તેનો અમલ કરાશે. આ એસઓપીમાં કેમ્પસમાં કાર્યરત સિક્યુરિટીનો પણ સમાવેશ થશે. કન્વીનર પ્રો.ભાવના મહેતાએ કહ્યું હતું કે, એસઓપી તૈયાર કરવાની સાથે સાથે વિદ્યાર્થિનીના મોતની ચાલી રહેલી પોલીસ તપાસના તારણોને પણ ધ્યાનમાં લેવામાં આવશે. વિદ્યાર્થીઓની સુરક્ષા યુનિવર્સિટીની પ્રાથમિક જવાબદારી છે અને તેમાં ઢીલાશ નહીં રખાય.








