મહેસાણા નજીક પુત્રએ પિતાને ઉતાર્યા મોતને ઘાટ, પૈસાની લેતીદેતીમાં લાકડાના ધોકાથી કર્યો હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mehsana Crime News : મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના રાઠોરપુરા ગામેથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. અહીં પૈસાની સામાન્ય લેણદેણને લઈને થયેલા પારિવારિક ઝઘડામાં એક પુત્રએ પોતાના જ પિતાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
પારિવારિક ઝઘડાનો કરુણ અંત
પ્રાપ્ત માહિતી અનુસાર, રાઠોરપુરા ગામમાં રહેતા લાલસિંહ વજેસિંહ રાઠોડ અને તેમના પુત્ર મુકેશસિંહ રાઠોડ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પૈસાની લેતીદેતી મામલે મનદુઃખ ચાલી રહ્યું હતું. ગત રોજ આ મામલે બોલાચાલી થતા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઉશ્કેરાયેલા પુત્ર મુકેશસિંહે આવેશમાં આવીને પિતા પર લાકડાના ધોકા વડે આડેધડ હુમલો કરવાનું શરૂ કર્યું હતું.
સારવાર દરમિયાન પિતાનું મોત
આ ઘાતકી હુમલામાં પિતા લાલસિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને જોઈ પરિવારજનો અને ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, ઈજાઓ એટલી ગંભીર હતી કે સારવાર દરમિયાન લાલસિંહનું મોત નીપજ્યું હતું.
પોલીસ કાર્યવાહી અને તપાસ
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો રાઠોરપુરા ગામે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી મુકેશસિંહ રાઠોડ (પુત્ર) વિરૂદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરવાની તજવીજ શરૂ કરી છે.
ગામમાં શોકનું મોજું
એક પુત્રએ જ પિતાનું લોહી વહાવતા ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા છે. હાલમાં ગામમાં માતમ અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે કે આ હત્યા પાછળ માત્ર પૈસા જ કારણભૂત છે કે અન્ય કોઈ જૂની અદાવત તે અંગે તપાસ ચાલી રહી છે.








