વડોદરા,અઠવાડિયા પહેલા પાદરા - જંબુસર હાઇવે પર ટ્રકની અડફેટે ઘાયલ પિતા પુત્ર પૈકી પુત્રનું સારવાર દરમિયાન મોત થયું છે. જે અંગે વડુ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૃચ જિલ્લાના જંબુસર તાલુકાના કપુરાઇ ગામ નવીનગરીમાં રહેતા શ્રમજીવી ચિરાગ ગણપતભાઇ ગોહિલ ગત ૧૫ મી તારીખે બપોરે ત્રણ વાગ્યે ૧૨ વર્ષના પુત્ર પીયૂષ સાથે બાઇક પર ઘરેથી અમદાવાદ બારેજા ખાતે મંદિરે દર્શન કરવા જતા હતા.પાદરા - જંબુસર હાઇવે પર મહુવડ ગામ પાસે એક ટ્રક ચાલકે તેઓને અડફેટે લેતા પિતા, પુત્ર રોડ પર ફંગોળાઇને પડયા હતા.ચિરાગને આંખ, કપાળ, છાતીતેમજ બંને પગે ઇજા થઇ હતી. જ્યારે તેમના ૧૨ વર્ષના પુત્રને માથા,કપાળ તથા છાતીમાં ગંભીર ઇજા થતા સારવાર માટે પાદરા હોસ્પિટલમાં લઇ જવાયો હતો.ત્યાંથી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.


