રૂા. 40 કરોડથી વધુ રકમની મિલ્કત નજીવા દરે ભાડે અપાતા વિવાદ : સરકારે પોતાના હસ્તક સર્કિટ હાઉસમાં માત્ર 8 રૂમ રાખ્યા હોવાથી VIP મહેમાનોને સાચવવામાં મુશ્કેલીઃ જબરો વિવાદ
વેરાવળ, : સોમનાથ મંદિર દરીયાકિનારા પાસે ગુજરાત સરકાર દ્વારા ખુબજ મોટી જગ્યામાં સર્કિટ હાઉસ બનાવવામાં આવેલ હતું તે 40 કરોડથી વધારેની બજાર કિંમત ધરાવે છે. તે ખાનગી પાર્ટીને નજીવા દરે ભાડે અપાયેલ હોય 50 જેટલા શિક્ષિત યુવાનો બેરોજગાર બની ગયા છે અને પી.એમ., સી.એમ. સહિત સરકારી અધિકારીઓ માટે રહેવાની જગ્યા બનાવેલ હતું તે ખાનગી પાર્ટીને સોપાય જતા ભારે રોષની લાગણી ફેલાઇ હોવાનું બહાર આવ્યું છે.
સોમનાથ જેવા પવિત્ર તીર્થ ધામમાં રાજય સરકારે 2019માં વિશાળ જગ્યામાં દરીયાકિનારે ખુબજ મોટું સર્કિટ હાઉસ બનાવેલ હતું જેમાં 50થી વધારે રૂમો તૈયાર કરેલ હતા. આધુનીક સુવિધા વાળુ આ સર્કિટ હાઉસ આજની બજાર કિંમત 40 કરોડથી પણ વધારે થાય છે તેને ખાનગી પાર્ટીને સાવ નજીવા દરે આપેલ હોવાનું જાણવા મળેલ છે.
સર્કિટ હાઉસની અંદર પી.એમ, સી.એમ, મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો ,અધિકારીઓ,જજ માટે સોમનાથ ઉતરવાની રાજ્ય સરકારે જેતે વખતે અધતન વ્યવસ્થા ગોઠવેલ હતી. તેમાં 50 જેટલા શિક્ષિત યુવાનો રોજગારી મેળવતા હતા. તે સર્કિટ હાઉસ સાવ નજીવા દરે ખાનગી પાર્ટીને સોંપવામાં આવતા આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.
છેલ્લા 8 દિવસથી ભાડે આપેલ જગ્યામાં સરકાર હસ્તક ફકત 8 રૂમ રાખવામાં આવેલ છે. જેમાં પ્રોટોકોલ મુજબ આપવાના હોય છે. જો સાંજે અથવા રાત્રે કોઈ જજ અથવા ઉચ્ચકક્ષાના પ્રધાનો આવી જાય તો જેને રૂમ આપેલ હોય તેને ખાલી કરવા પડે છે. જયારે સ્થાનિક સાંસદ, ધારાસભ્યોને પણ મિટિંગ કરવા ભારે મુશ્કેલી પડી રહી છે. ૪૦ કરોડથી વધારેની જગ્યા ફકત મામુલી રકમમાં ખાનગી પાર્ટીને અપાય જતા આ મુદ્દો જિલ્લામાં વિવાદાસ્પદ બની રહ્યો છે.


