ઓપરેશન સિંદૂરમાં વિરતા દાખવનાર મુળીના ટીકર ગામના સૈનિકનું સન્માન કરાયું
આતંકવાદીઓના બંકરને રોકેટ છોડી નષ્ટ કરી જવાને શૌર્યતા દાખવી હતી
સુરેન્દ્રનગર - જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ૨૨મી એપ્રિલના રોજ આતંકવાદીઓ દ્વારા હુમલો કરી ૨૬ પર્યટકોના મોત નીપજાવ્યા હતા. જેના વળતા જવાબમાં ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરી આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કરી પાકિસ્તાન સામે શૌર્યતા દાખવી હતી.
ઓપરેશન સિંદૂરમાં સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ટીકર ગામના વતની અને છેલ્લા ૨૩ વર્ષથી ભારતીય સેનામાં ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ મહિપતસિંહ પરમાર જોડાયા હતા. ધરમેન્દ્રસિંહ એક મહિનાની રજા પર પોતાના માદરે વતન હતા તે દરમ્યાન અચાનક રી-કોલ આવતા તેઓ પાછા યુનીટમાં પરત ફર્યા હતા અને રોકેટ લોન્ચર હાઈરર (એટીજીયમ)ની જવાબદારી સોંપવામાં આવતા આતંકવાદીઓના બંકર પર રોકેટ ફાયર કરી બંકરને નષ્ટ કર્યા હતા.
જે બદલ તેઓને આર્મીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અલગ-અલગ પ્રકારના પ્રશંસા કાર્ડ આપવામાં આવ્યા હતા.ત્યારે આ વિરતા અને દેશભક્તિ બદલ સુરેન્દ્રનગર સરદાર સોસાયટી રોડ પર આવેલા સિંદુરીયા હનુમાન મંદિર ખાતે તેઓનું શાલ ઓઢાડી તેમજ ફુલહાર અને બુકે વડે સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.