Gujarat

લખતર પોલીસ સ્ટેશન સામે જ ગૌચર જમાનમાં માટીનું ખનન થતું હોવાની ચર્ચા

By GS TEAM
16 Oct 20252 mins read
લખતર પોલીસ સ્ટેશન સામે જ ગૌચર જમાનમાં માટીનું ખનન થતું હોવાની ચર્ચા

પોલીસ, મામલતદારને જાણ કરવા છતા ગેરકાયદે ખનન યથાવત

રાત્રિના સમયમાં ભૂમાફિયાઓ દ્વારા માટીનું ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હોવાની ફરિયાદો

લખતરલખતર તાલુકામાં ભૂમફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનન સહિતની અસામાજીક પ્રવૃતિઓ વધી રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જે અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ નહી આવતા અધિકારીઓની મીલીભગત હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે.

લખતર તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોેથી ગેરકાયદે માટીનું ખનન સહિતની અસામાજીક પ્રવૃત્તિઓ વધી રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. અનેક વખત સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો દ્વારા ગેરકાયદે માટી ખનન અંગે રજૂઆત કરવા છતાં તંત્રના અધિકારીઓ તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા ભૂમાફિયાઓ સામે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. જેમાં લખતર પોલીસ સ્ટેશન, તાલુકા પંચાયત કચેરી, લખતર ન્યાય કોર્ટ, ગ્રામ પંચાયત કચેરી સામે આવેલ મેદાનમાં રાત્રીના સમયે ગેરકાયદેસર માટીનું ખનન થતું હોવાની જાગૃત નાગરિક દ્વારા પોલીસના ઇમરજન્સી નંબર ૧૧૨ પર લખતર મામલતદાર, પ્રાંત અધિકારીને ટેલિફોનિક જાણ કરવા છતાં માટીનું ખનન બંધ કરવામાં આવ્યું નથી. લખતર પોલિસ સ્ટેશન સામે આવેલા મેદાનમાં લખતર ગૌચરમાંથી ગેરકાયદેસર માટી ખનન કરી નાખવામાં આવી છે જેની તપાસ પણ હાલ મંદગતિએ ચાલી રહી છે. ત્યારે ગૌચરની જમીનમાં ફરીવાર ગેરકાયદે માટીનું ખનન કરવામાં આવી રહ્યું છે. આમ લખતર તાલુકામાં ભૂમાફિયાઓ બેફામ બની રહ્યા હોવા છતાં અધિકારીઓ દ્વારા કોઇપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે આ મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.