લખતરના દેવળીયામાંથી એસઓજીએ સરકારી યુરિયા ખાતરના કાળા બજારનું કૌભાંડ ઝડપી પાડયું
રૃા.19.80 લાખનો મુદ્દામાલ કબજે, 4 મુખ્ય આરોપી અને 10 શખ્સો સામે કરી કાર્યવાહી
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર એસ.ઓ.જી. શાખાએ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે ઝુંબેશ હાથધરી છે, જેના ભાગરૃપે લખતર તાલુકાના દેવળીયા ગામમાંથી ખેડૂતોને અપાતા સરકારી સબસીડીવાળા યુરિયા ખાતરના ગેરકાયદેસર સંગ્રહ અને કાળા બજારના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
એસ.ઓ.જી.ના પી.આઈ. બી.એચ. શીંગરખીયાને મળેલી બાતમીના આધારે દેવળીયા ગામમાં ક્રિપાલસિંહ ભવાનસિંહ રાણાના કબજા ભોગવટાના એક ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. રેડ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપીઓ અજયસિંહ બળવંતસિંહ રાણા અને દિવ્યરાજસિંહ ઉર્ફે શંભુભાઇ ધર્મેન્દ્રસિંહ રાણા ગેરકાયદેસર રીતે સરકારી સબસીડીવાળું યુરિયા ખાતર મેળવીને તેને કોમર્શિયલ ઉપયોગ માટેની થેલીઓમાં ફરીથી પેકિંગ કરી રહ્યા હતા. આ ખાતરને કાળા બજારમાં ફેક્ટરીઓમાં વેચવા માટે મોકલવાની યોજના હતી. નોંધનીય છે કે ગોડાઉનમાંથી ગેરકાયદેસર વીજ જોડાણ પણ મળી આવતા પીજીવીસીએલની ટીમને બોલાવીને વીજ જોડાણ કાપીને દંડની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે વધુ આ પ્રવૃતીઓ કેટલા સમયથી થતી હતી કેટલુ ખાતર લેવાયુ એ સહીતની તપાસ હાથ ધરવામા આવી હતી
રેડમાં ઝડપાયેલ મુદ્દામાલ
યુરિયા ભરેલી થેલીઓ (નંગ-૫૯૭) - કિંમત રૃ. ૯,૬૧,૪૮૦/-, ખાલી પીળા રંગની સરકારી ખાતરની થેલીઓ નંગ-૨૮૦, સીલાઈ મશીન, સફેદ ખાલી કોમશયલ ઉપયોગની થેલીઓ નંગ-૪૦, ટાટા ટ્રક (ખાતર ભરીને વેચાણ માટે મોકલવા આવેલ), મોબાઇલ ફોનનંગ-૦૩) તમામ મળીને કુલ રૃ. ૧૯,૮૦,૦૮૦/- નો શંકાસ્પદ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આરોપીઓ સામે કાર્યવાહી
આ કૌભાંડમાં કુલ ચાર મુખ્ય ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ક્રિપાલસિંહ ભવાનસિંહ રાણાથ જેના ગોડાઉનમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી. અજયસિંહ બળવંતસિંહ રાણા, દિવ્યરાજસિંહ ઉર્ફે શંભુભાઇ ધર્મેન્દ્રસિંહ રાણાથ જે મજૂરોને આ કામ માટે લાવ્યા હતા. પરાગભાઇ જેણે ખાતર બજારમાં કાળાબજારીથી વેચવા માટે ટ્રક મોકલેલ હતો. આ ઉપરાંત, સ્થળ પરથી ખાતરની હેરફેર-ફેરવણી કરતા ૮ મજૂરો અને ટ્રકના ડ્રાઇવર-ક્લીનર સહિત અન્ય ૧૦ શખ્સોને પણ ઝડપી લેવામાં આવ્યા છે.